News Updates
INTERNATIONAL

ખાલિસ્તાની આતંકવાદી પન્નુને ત્યાં NIAના દરોડા:ચંદીગઢ-અમૃતસરની પ્રોપર્ટી કબજે કરી, હવે આ પ્રોપર્ટી સરકારની રહેશે

Spread the love

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પંજાબ અને ચંદીગઢમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની મિલકતો જપ્ત કરી છે. પન્નુ પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો વડો છે. તે કેનેડા અને અન્ય દેશોમાં ભારતવિરોધી વાતો કરતો રહે છે. તાજેતરમાં કેનેડા-ભારત વિવાદમાં તેણે કેનેડામાં રહેતા હિંદુઓને પણ ધમકી આપી હતી.

પન્નુ હવે આ પ્રોપર્ટીનો માલિક નથી
NIAએ અમૃતસરના ખાનકોટ ગામમાં પન્નુની 46 કનાલની સંપત્તિ જપ્ત કરી છે. ખાનકોટ પન્નુનું પૈતૃક ગામ છે. આ ખેતીની જમીન છે. પન્નુનું ઘર ચંદીગઢના સેક્ટર 15 સીમાં છે. તે અગાઉ 2020માં જોડાયો હતો. હવે NIAએ લઈ લીધી છે. કાયદેસર રીતે પન્નુ હવે આ મિલકતોનો માલિક નથી. આ મિલકત હવે સરકારની છે.

પન્નુને 2020માં આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો
2019માં, ભારત સરકારે પન્નુના સંગઠન SFJ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ એટલે કે UAPA હેઠળ આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ ધરવાના આરોપસર પ્રતિબંધ મૂક્યો હતો. ગૃહ મંત્રાલયે તેના નોટિફિકેશનમાં કહ્યું હતું કે શીખો માટે જનમત સંગ્રહની આડમાં SFJ પંજાબમાં અલગતાવાદ અને ઉગ્રવાદી વિચારધારાને સમર્થન આપી રહી છે.

વર્ષ 2020માં પન્નુ પર અલગતાવાદને પ્રોત્સાહન આપવા અને પંજાબી શીખ યુવાનોને હથિયાર ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવાનો આરોપ લાગ્યો હતો. આ પછી, 1 જુલાઈ, 2020ના રોજ, કેન્દ્ર સરકારે પન્નુને UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો. 2020માં, સરકારે SFJ સંબંધિત 40થી વધુ વેબપેજ અને YouTube ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે ફરી ભારત પર ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. ઓટાવામાં મીડિયા સાથે વાત કરતાં ટ્રુડોએ કહ્યું હતું કે તેમણે થોડાં અઠવાડિયાં પહેલાં જ ભારત સરકાર સાથે આ પુરાવા મોકલ્યા હતા. અમે ઈચ્છીએ છીએ કે દિલ્હી અમને તપાસમાં સહકાર આપે.

તેમણે કહ્યું હતું કે અમને આશા છે કે તેઓ અમારી સાથે જોડાશે, જેથી આ ખૂબ જ ગંભીર મામલાના મૂળ સુધી પહોંચી શકાય. જોકે તેમણે એવું જણાવ્યું નથી કે પુરાવા તરીકે ભારતને શું-શું મોકલ્યું છે.

કેનેડાના PM ટ્રુડોએ કહ્યું- જેવું મેં સોમવારે કહ્યું હતું, અમારી પાસે એ માનવા માટેનાં જરૂરી કારણો છે કે ભારત સરકારના એજન્ટો અમારી ધરતી પર એક કેનેડિનયની હત્યામાં સામેલ હતા. આ એક ગંભીર બાબત છે. ખાસ કરીને એવા દેશ માટે, જ્યાં કાયદાનું શાસન છે. કેનેડામાં આંતરરાષ્ટ્રીય નિયમો પર આધારિત સિસ્ટમ છે. અમે આ બાબતની સત્યતા સુધી પહોંચવા માટે ભારત સરકાર પાસેથી સહકારની અપીલ કરીએ છીએ.

કેનેડાએ ભારતીય ડિપ્લોમેટ્સની દેખરેખ કરી
બીજી બાજુ, કેનેડિયન મીડિયા CBCના રિપોર્ટ પ્રમાણે, કેનેડા પાસે ભારતીય એજન્ટ્સના કોલ રેકોર્ડિંગ છે. ભારતીય ડિપ્લોમેટ્સ કોને મળ્યા, કોની સાથે વાત કરી, આ બધી જ બાબતો ટ્રેક કરવામાં આવી હતી.

CBCના કેનેડિયન અધિકારીને ટાંકીને આ વાતનો પણ દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે ભારતીય અધિકારીઓ ઉપર બંધ દરવાજે દબાણ આપવામાં આવ્યું ત્યારે તેમણે નિજ્જરની હત્યામાં ભારત સરકારની દખલના પુરાવા હોવાની વાતને નકારી હતી.

કેનેડિયન NSA આ વર્ષમાં બે વખત ભારત આવ્યા હતા
આ સિવાય મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નિજ્જરની હત્યાની તપાસમાં સહયોગ મેળવવા કેનેડિયન અધિકારીઓએ ઘણી વખત ભારતની મુલાકાત લીધી હતી. કેનેડિયન NSA જોડી થોમસ ઓગસ્ટમાં 4 દિવસ માટે ભારતમાં હતા. આ ઉપરાંત તેઓ આ વર્ષે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે 5 દિવસ માટે ભારત આવ્યા હતા.

અમેરિકી વિદેશમંત્રીએ કહ્યું- ભારતે તપાસમાં સહયોગ આપવો જોઈએ
આ દરમિયાન અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને શુક્રવારે કહ્યું હતું કે યુનાઈટેડ સ્ટેટ્સ આ હત્યા અંગે જવાબદારી ઈચ્છે છે. બ્લિંકને પ્રેસ બ્રીફિંગમાં પત્રકારોને જણાવ્યું હતું કે “વડાપ્રધાન ટ્રુડો દ્વારા કરવામાં આવેલા આરોપોથી અમે અત્યંત ચિંતિત છીએ.”

અમે અમારા કેનેડિયન ભાગીદારો સાથે આ મુદ્દા પર ચર્ચા કરવાનું ચાલુ રાખીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ભારત આ તપાસમાં કેનેડાને સહયોગ આપે.

ભારત અને કેનેડા વચ્ચેના વિવાદની સમયરેખા…

18 સપ્ટેમ્બર: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની જૂન 2023માં હત્યા કરવામાં આવી હતી. 18 સપ્ટેમ્બરે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. પીએમ ટ્રુડોનું જાહેર નિવેદન બહાર આવતા જ સમાચાર આવ્યા કે કેનેડાએ ભારતના એક વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યા છે.

સપ્ટેમ્બર 19: કેનેડાની આ કાર્યવાહીના જવાબમાં ભારતે પણ વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારી ઓલિવિયર સિલ્વેસ્ટરને હાંકી કાઢ્યા. તેને પાંચ દિવસમાં દેશ છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું.

સપ્ટેમ્બર 19: ટ્રુડોના આરોપોનો જવાબ આપતાં વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડા ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા વિરુદ્ધ કામ કરતાં ખાલિસ્તાની જૂથોને સતત વિકાસની મંજૂરી આપી રહ્યું છે. તેઓ પોતાની નબળાઈ પરથી ધ્યાન હટાવવા માટે આવા આક્ષેપો કરી રહ્યા છે.

સપ્ટેમ્બર 19: કેનેડાની સરકારે તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કેનેડિયનોએ જમ્મુ-કાશ્મીર અને મણિપુર જેવા ભારતના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ.

20 સપ્ટેમ્બર: કેનેડા દ્વારા જારી કરાયેલી એડવાઈઝરી બાદ ભારતના વિદેશ મંત્રાલયે પણ કેનેડામાં રહેતા તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે – કેનેડામાં ચાલી રહેલી ભારતવિરોધી ગતિવિધિઓને જોતા ત્યાં રહેતા અથવા ત્યાં મુસાફરી કરતા નાગરિકોને ખૂબ જ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. તાજેતરના દિવસોમાં, એવું જોવામાં આવ્યું છે કે કેનેડામાં હાજર ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના ચોક્કસ વર્ગને ધમકી આપવામાં આવી રહી છે. આ એ લોકો છે જેઓ ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરે છે.

સપ્ટેમ્બર 21: કેનેડામાં ભારતના વિઝા એપ્લિકેશન સેન્ટરે કેનેડિયનો માટે વિઝા સેવાઓ સસ્પેન્ડ કરી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યું કે કેનેડામાં અમારા રાજદ્વારી યુનિટને ધમકીઓ મળી રહી છે. તેઓ તેમનું કામ કરવા સક્ષમ નથી. આ જ કારણ છે કે વિઝા સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.

22 સપ્ટેમ્બર: અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલિવને વ્હાઇટ હાઉસમાં મીડિયાને જણાવ્યું હતું કે તેઓ આ હત્યા કેસમાં ભારત વિરુદ્ધ તપાસમાં કેનેડાના પ્રયાસોને સમર્થન આપે છે. સુલિવને આગળ કહ્યું – તે કોઈપણ દેશનો હોય, આવા કામ માટે કોઈને વિશેષ છૂટ નહીં મળે.

23 સપ્ટેમ્બર: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે ફરી ભારત પર ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો. ઓટાવામાં મીડિયા સાથે વાત કરતા ટ્રુડોએ કહ્યું હતું કે તેમની પાસે મજબૂત પુરાવા છે કે આ હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ છે. ટ્રુડોએ વધુમાં કહ્યું હતું કે તેમણે થોડાં અઠવાડિયાં પહેલા જ ભારત સરકાર સાથે પુરાવા શેર કર્યા હતા.

ભારતે કેનેડિયનો માટે વિઝા સેવા બંધ કરી
કેનેડા સાથે વધતા તણાવ વચ્ચે ભારતે ગુરુવારે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું- કેનેડામાં અમારા રાજદ્વારી યુનિટને ધમકીઓ મળી રહી છે. તેઓ તેમનું કામ કરવા સક્ષમ નથી. આ જ કારણ છે કે વિઝા સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. બાગચીએ કેનેડા પર આતંકવાદીઓને આશ્રય આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.

ભારતે કહ્યું- કેનેડાના આરોપો વાહિયાત છે
કેનેડા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ભારતે સતત નકારી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કેનેડાના તમામ આરોપો વાહિયાત છે. કેનેડાના વડાપ્રધાને આપણા પીએમ મોદી પર પણ આવા જ આક્ષેપો કર્યા હતા અને એમને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા હતા.

આવા પાયાવિહોણા આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. તેમને કેનેડામાં અભયારણ્ય આપવામાં આવ્યું છે અને તે ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે ખતરો છે. અહીં એવા સમાચાર પણ આવ્યા કે વિદેશમંત્રી જયશંકર બુધવારે પીએમ મોદીને મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયશંકરે પીએમને સમગ્ર મામલાની જાણકારી આપી છે.


Spread the love

Related posts

દક્ષિણ કેરોલિનાની ચૂંટણીમાં બાઇડનની જીત:ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં આગળ, બ્લેક વોટર્સનો સપોર્ટ મળ્યો

Team News Updates

ગાઝા પટ્ટી પર ઇઝરાઇલના હવાઈ હુમલા:ઇસ્લામિક જિહાદના ટોપ કમાન્ડરો સહિત 12નાં મોત, 40 એરક્રાફ્ટે 3 સ્થાનોએ અટેક કર્યો

Team News Updates

રશિયન પત્રકારે યુક્રેન પર મિસાઈલ છોડી:કહ્યું- મારી તરફથી યુક્રેનને હેલો, અમે નાઝીઓ સાથે લડી રહ્યા છીએ

Team News Updates