- 300 જેટલા પોલીસ જવાનોને બંદોબસ્ત માટે રિવરફ્રન્ટ ખાતે બોલાવી પોઇન્ટ ફાળવી દેવામાં આવ્યા
આગામી 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સી પ્લેન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. ત્યારે તેમના આગમન પહેલાં પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના વોટર એરોડ્રામ ખાતે લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તેમજ તે જગ્યાને બંને બાજુથી બંધ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર હાલમાં સામાન્ય લોકો વોટર એરોડ્રામ તરફ અવર જવર નહીં કરી શકે.
300 પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં ગોઠવી દેવાયા
વડાપ્રધાનના આગમન પહેલાં સુરક્ષાના કારણે કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તેની તકેદારી પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હાલ સ્થાનિક પોલીસના જવાનો અને SRPના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત SPGના જવાનો પણ સવાર સાંજ ડોગ સ્કવોડ સાથે તપાસ કરી રહ્યા છે. આજે સાંજે 300 જેટલા પોલીસ જવાનોને બંદોબસ્ત માટે રિવરફ્રન્ટ ખાતે બોલાવી પોઇન્ટ ફાળવી દેવામાં આવ્યા છે.
તમામ વિભાગના અધિકારીઓની બેઠક મળી
વડાપ્રધાનના આગમન પહેલા તમામ વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં લોકો માટે સી પ્લેનની સુવિધા ક્યારે શરુ કરવી તેમજ દરરોજ કેટલી ફ્લાઈટ ઓપરેટ કરવી તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે હાલમાં દરરોજ માત્ર 4 ફ્લાઈટ ઓપરેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.