- દિવાળીમાં નમસ્કાર કરી દૂરથી આશીર્વાદ લઈએ, કોરોનાથી બચીએ- આરોગ્ય અધિકારી
દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. લોકો એકબીજાના ઘરે જઈ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે. પરંતુ તહેવારના ઉત્સાહમાં આ વખતે કોરોનાથી બચવા લોકોએ સાવચેત પણ રહેવું પડશે. દિવાળી જો સાવચેતી સાથે ઉજવવામાં આવશે તો લોકો પણ કોરોના સંક્રમણથી બચી શકશે. ત્યારે આરોગ્ય અધિકારીએ દિવાળી અને બેસતા વર્ષના દિવસે મીઠાઈ અને મુખવાસના બદલે એલચી, લવિંગ, ઉકાળો, લીંબુ અને હળદરવાળું દૂધ અસરકારક હોવાનું જણાવ્યું છે.
તહેવારો પર માસ્ક પહેરી રાખીએ તો કોરોના સંક્રમણનો ભય ઓછો રહેશે
લોકોએ દિવાળીના તહેવાર પર કઈ રીતે સાવચેતી રાખવી તે અંગે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના અધિકારી પંકજ રાઠોડએ જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. દિવાળી અને નવા વર્ષના દિવસે લોકો એકબીજાને ઘરે જઈને લોકો શુભેચ્છા પાઠવતા હોય છે. પણ હાલની કોરોનાની સ્થિતિમાં આ વખતે લોકોએ વધુ સાવચેતી સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવી પડશે. બાળકો, સગર્ભા અને વડીલોએ સૌથી વધુ કાળજી રાખવી હિતાવહ છે. દિવાળી કે નવા વર્ષની શુભેચ્છા પાઠવતા સમયે પણ સામાજિક અંતર જળવાય, નમસ્કાર કરી દૂરથી જ આશીર્વાદ લઈએ, તો સાથે જ માસ્ક પહેરી રાખીએ તો કોરોના સંક્રમણનો ભય ઓછો રહેશે.

મહેમાનોને હળદરવાળું દૂધ અને નારિયેળ પાણી આપવામાં આવે તો ફાયદાકારક
મીઠાઈની જગ્યાએ કઠોળ વધુ ખાવા ખુબજ ફાયદાકારક છે
વધુમાં પંકજ રાઠોડે જણાવ્યું હતું કે દિવાળી અને બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને મીઠાઈ, ઠંડા પીણા, મુખવાસ ખવડાવતાં હોય છે તેની બદલે જો આ વખતે મુખવાસમાં એલચી, તજ, લવિંગ, ખજૂર, આમળા તેમજ ખાણીપીણીમાં ઉકાળો, મોસંબીનું જ્યૂસ, હળદરવાળું દૂધ, લીંબુ, મધવાળું પાણી, નારિયેળ પાણી આપવામાં આવે તો એ લોકો માટે વધુ અસરકારક રહેશે. તેમજ લોકો તકેદારીના ભાગરૂપે ડિસ્પોઝેબલ વસ્તુનો ઉપયોગ કરે અને ફરસાણ, મીઠાઈની જગ્યાએ કઠોળ વધુ ખવાય તો તે પણ ફાયદાકારક રહી શકે છે.