જમ્મુ-કાશ્મીર, લદાખ અને હિમાચલ પ્રદેશમાં ગયા સપ્તાહે હિમવર્ષા થયા બાદ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને લઘુતમ તાપમાન ૩ ડીગ્રી જેટલું નીચે ઉતરી ગયું છે. હાલ સમગ્ર રાજ્યમાં સરેરાશ ૧૭ થી ૧૯ ડિગ્રી આસપાસ તાપમાન છે. છેલ્લા ત્રણ દિવસથી તાપમાનના પ્રમાણમાં સામાન્ય વધઘટ થાય છે અને તેના કારણે ઠંડીનું જોર વધતું નથી કે ઘટતું નથી. મોડી સાંજથી વહેલી સવાર સુધી સૂકું વાતાવરણ રહે છે અને શિયાળાની સીઝનનો થોડો ઘણો અહેસાસ કરાવે છે. પરંતુ સૂર્યનારાયણના દર્શન થતા જ શિયાળાનું વાતાવરણ ગાયબ થઈ જાય છે.
શિયાળાની સિઝનની શરૂઆતમાં જો એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાનું અને હીમવર્ષાનું ચાલુ રહે તો ઠંડી જોર પકડતી હોય છે .પરંતુ આ વખતે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વચ્ચે મોટો ગેપ આવી ગયો છે અને હજુ આગામી ચાર-પાંચ દિવસ સુધી તો નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કોઈ શક્યતા ન હોવાનું હવામાન ખાતાના જાણકારો કહી રહ્યા છે.આજે સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન વલસાડમાં ૧૪ ડિગ્રી નોંધાયું છે. નલિયામાં ૧૫.૨, રાજકોટમાં ૧૮.૫, કેશોદમાં ૧૭.૨ ,ભાવનગરમાં ૧૯, પોરબંદરમાં ૧૮.૪, સુરેન્દ્રનગરમાં ૧૮.૮, અમરેલીમાં ૧૭, ગાંધીનગરમાં ૧૫.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.આજે પોરબંદર અને નલિયામાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહેવા પામ્યું છે.જયારે રાજકોટમાં ૬૨ ટકા ભેજ સવારે નોંધાયો છે.