કોરોનાનું સંક્રમણ હાલ પરાકાષ્ટાએ હોવાથી
– દર વર્ષે યોજાતા કાર્યક્રમમાં અસામાન્ય ભીડ જામતી હોવાથી આ વર્ષે નહીં યોજાય
અમદાવાદ મ્યુનિ. દ્વારા દર વર્ષે ડિસેમ્બરમાં તા. 25મીથી 31 દરમ્યાન કાંકરિયા કાર્નિવલના રંગારંગ કાર્યક્રમો યોજાતા હોય છે. ચાલુ વર્ષે કોરોના કેર હાલ પરાકાષ્ટાએ હોવાથી આ પરંપરા તૂટશે તેમ જણાય છે.
કેમ કે કાર્યક્રમની તૈયારીઓ નવેમ્બરના છેલ્લા સપ્તાહથી શરૂ કરી દેવી પડે છે. તે દિશામાં આ વર્ષે કોઈ જ હલચલ નથી, વાતાવરણ પણ યોગ્ય નથી. 2008માં 25મી ડિસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયની સ્મૃતિમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો.
કાર્નિવલમાં દર વર્ષે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્યો, ડાયરો, ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વગેરેમાં દર વખતે નાવિન્ય લાવવા નવા નવા કાર્યક્રમો ઉમેરાતા રહેતા હોય છે. ડિસેમ્બર- જાન્યુઆરી બન્ને મહિના કાંકરિયા કાર્નિવલ, પતંગોત્સવ, પુસ્તકમેળો વગેરેના કારણે ધમધમતા રહેતા હોય છે. જે આ વર્ષે કોરોનાના કારણે યોજી શકાશે કે કેમ તે બાબત ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાઈ ગયું છે.
કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ જામતી ભીડના કારણે પણ યોજવાનું સલાહભર્યુ નથી, તેમ ડોક્ટરો જણાવે છે. બીજી તરફ તે સમયે હાલના સત્તાવાળા મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન વગેરેની મુદત પણ પૂરી થઈ ગયેલી હશે. એટલે તમામ સંજોગો જોતાં કાર્નિવલ યોજાશે નહીં, તેમ સ્પષ્ટ રીતે જણાય છે.