- ડેપ્યૂટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદથી સસ્પેન્ડ પાયલટે કહી દીધુ છે કે, તેઓ ભાજપમાં નહીં જોડાય
- રાહુલ પ્રયત્ન કરી રહ્યા છે કે, પાયલટ સન્માનજનક વાતાવરણમાં કોંગ્રેસમાં પરત ફરે
નવી દિલ્હી. કોંગ્રેસ સામે બળવાખોરી કરનાર સચિન પાયલટના ભવિષ્ય વિશે ખૂબ અનિશ્ચિતતા છે. તેમણે કહી દીધું છે કે, તેઓ ભાજપમાં નહીં જોડાય. બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે, પાયલટ સહિત દરેક બળવાખોર સભ્યો માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે. ન્યૂઝ એજન્સી ANIના સૂત્રોએ જણાવ્યું છે કે, રાહુલ ગાંધી ઈચ્છે છે કે, પાયલટને વધુ એક મોકો આપવામાં આવે. તેથી સોનિયા ગાંધીના ખાસ માનવામાં આવતા અહમદ પટેલ પણ સચિન પાયલટના સંપર્કમા છે.
માનવામાં આવે છે કે, રાહુલે કોંગ્રેસ નેતાઓને કહ્યું હતું કે, પાયલટે ભલે ગમે તે કહ્યું હોય, પરંતુ તેમને પરિવારમાં પરત આવવા માટે એક મોકો આપવો જોઈએ. પહેલાં એવું માનવામાં આવતું હતું કે, પાયલટની બળવાખોરીથી રાહુલ નારાજ છે, પરંતુ હવે કહેવામાં આવે છે કે, રાહુલ પ્રયત્ન કરી રહ્યા છે કે, સચિન પાયલટ પાર્ટીમાં પરત આવે.
અશોક ગેહલોતના નિવેદન પછી રાહુલ ગાંધીનું વલણ બદલાયુ
ANIના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી અશોક ગેહલોતના બુધવારના નિવેદન પછી રાહુલે સચિન માટે સોફ્ટ કોર્નર દેખાડીને પાર્ટી નેતાઓને આદેશ આપ્યો હતો. ગેહલોતે પહેલીવાર સચિન પાયલટને સીધા જવાબદાર ઠેરવીને કહ્યું હતું કે, તેઓ સરકાર પાડવાના કાવતરામાં સામેલ છે, અમારી પાસે એનો પુરાવો છે. ત્યારપછી રાહુલે જયપુરમાં હાજર કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને કહ્યું કે, પાયલટને વધુ એક મોકો આપો. ત્યારપછી પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મીડિયા દ્વારા મેસેજ આપ્યો કે, પાયલટે દરેક ધારાસભ્યો સાથે જયપુર પરત આવવું જોઈએ.
પાયલટ માને તો તેમને મોટી જવાબદારી મળી શકે છે
પ્રિયંકા ગાંધી પણ પાયલટના સંપર્કમાં છે. તેઓ ઘણીવાર તેમની સાથે વાત કરી ચૂક્યા છે. પાર્ટીના ઘણાં મોટા નેતા જેવા પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતીન પ્રસાદ, પ્રિયા દત્ત અને શશિ થરુર પણ કહી ચૂક્યા છે કે પાયલટ સાથે વાત થવી જોઈએ. સીનિયર નેતા મારગ્રેટ અલ્વાએ પણ ટ્વિટ કર્યું છે કે, મતભેદ હોવાનો અર્થ પાર્ટી વિરોધી ન હોવું જોઈએ. વિવાદનો ઉકેલ લાવી શકાય છે, પહેલાં પણ આવું થયું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે પણ અલ્વાની વાતનું સમર્થન કર્યું છે. માનવામાં આવે છે કે, પાયલટ શરત વગર વાપસી કરીને ગહલોત સરકારને સપોર્ટ કરશે તો અમુક મહિના પછી તેમને પાર્ટીમાં મોટી જવાબદારી આપી શકે છે.
ગેહલોત સમર્થક પણ પાયલટની વાપસી ઈચ્છે છે
જ્યોતિરાદિત્ય સંધિયા અને સચિન પાયલટ જેવા યુવા નેતા રાહુલ ટીમના મેમ્બર માનવામાં આવે છે. તેમની બળવાખોરીથી કોંગ્રેસની ટોપ લિડરશીપ સામે સવાલ ઉભા થયા છે. તેથી ગેહલોતનું સમર્થન કરતા નેતા પણ ઈચ્છે છે કે, પાયલટ પરત આવી જાય.