રાજકોટ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે ગણતરીના મહિના બાકી છે ત્યારે રાજકોટમાં રાજકીય પાર્ટીઓમાં કરંટ જોવા મળી રહ્યો છે. આગામી ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામે તેવું જાણવા મળ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે જંગ જામશે. ગઇકાલે સોમવારે એક સમયે ભાજપથી નારાજ નેતા રાજભા ઝાલાએ આપમાં જોડાવા સંકેતો આપ્યા હતા. ત્યારે હવે ઉદ્યોગપતિઓ પણ આપમાં જોડાય તેવી શક્યતા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસીયા સહિતના પૂર્વ હોદ્દેદારો તેમજ પ્રવર્તમાન હોદ્દેદારો પૈકી કેટલાક હોદ્દેદારો તેમજ તેમના સમર્થકો આમ આદમી પાર્ટીમાં આવતા અઠવાડિયે વિધિવત રીતે જોડાશે
હું ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં દિલથી જોડાયો: શિવલાલ
શિવલાલ બારસીયાએ જણાવ્યું હતું કે, લોકો પ્રવર્તમાન શાસક પક્ષથી નાખુશ છે. તેમની નીતિ પ્રજાહિતમાં નથી ત્યારે જે રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે શિક્ષણ અને આરોગ્યમાં જે પ્રકારે પ્રજાલક્ષી કાર્ય કર્યું છે તેનાથી પ્રેરાઈને હું ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં દિલથી જોડાયો છું. ત્યારે આગામી સમયમાં આવતા અઠવાડિયે અન્ય પૂર્વ હોદ્દેદારો તેમજ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈશ.