ગોંડલ તાલુકાના અર્બન હેલ્થ સેન્ટર- ૨ ખાતે ધનવન્તરી આરોગ્ય રથ દ્વારા ૨ હજાથી વધુ લોકોના આરોગ્ય તપાસણી કરાઇ

0
397

રાજકોટ તા.૨૦ જુલાઇ – કોરોના વાયરસના ચેપથી બચવા સતર્કતા એ જ સમજદારી છે. કોરોના વાયરસના સંક્રમણના લક્ષણો જણાય કે તુરંત જરૂરી સારવાર શરૂ કરી શકાય તો સંક્રમણને આગળ વધતું રોકી શકાય છે. જેના પગલે જિલ્લાના નાગરીકોની આરોગ્ય અને સુખાકારીને ધ્યાને લઈ રાજકોટ જિલ્લામાં ૧૧ ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.

રાષ્ટ્રીય બાલ સખા કાર્યક્રમની સેવા હેઠળ ધન્વંતરી રથ કાર્યરત છે. જે અંતર્ગત ગોંડલ તાલુકાના અર્બન હેલ્થ સેન્ટર-૨ ખાતેના વિજયનગરમાં તા. ૨ જુલાઇ થી તા.૧૯ જુલાઈ સુધીમાં ધન્વંતરી રથ માં સેવારત કર્મયોગીઓ ડો. રવિભાઈ વઘાસીયા અને ડો.કિંજલબેન સખીયા દ્વારા ઘરઆંગણે જઇને ૨૦૬૪ જેટલા લોકોના આરોગ્યની ચકાસણી કરાઇ હતી, જેમાં તાવના ૧૨ દર્દોઓ, શરદીના ૪૩ દર્દીઓ હતા જે પૈકી ૬ દર્દીઓ શંકાસ્પદ જણાતાં તેમને રીફર કરવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ ઉપરાંત બ્લડ પ્રેશરના ૫૪ અને ડાયાબિટીઝના ૮૩ દર્દીઓની પણ પ્રાથમિક સારવાર કરાઈ હતી તથા લોકોમાં કોરોના વાયરસના સંક્રમણથી બચાવ અર્થે ઇમ્યુનિટી વધારવા હોમીયોપેથી દવાઓ અને આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે હાલ ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા ખાસ કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં આવતા આ વિસ્તારમાં આયુર્વેદીક ડોકટર, હોમીયોપેથી ડોકટર અને ફીમેલ હેલ્થ વર્કરના સમાવેશ સાથેની ટીમો પણ કાર્યરત છે. જેના દ્વારા કુટુંબોને હોમીયોપેથી દવાઓ અને આયુર્વેદીક ઉકાળાનું વિતરણ સાથે કોરોના મહામારીમાં બચાવ અર્થે સલામતી એજ સાવચેતી બાબતે સાવચેતીના લેવાના થતાં પગલાંઓથી અવગત કરાયા હતા.