પૂનમ રાત્રે 9 .27 કલાકે સમાપ્ત થતી હોવાથી ત્યાર બાદ રાખડી નહીં બાંધી શકાય
અમદાવાદ. 3 ઓગસ્ટે ભાઇબહેનના પવિત્ર બંધનના પ્રતીકરૂપે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. જોકે તે દિવસે પૂનમ રાત્રીના 9.27 મિનિટ સુધી જ છે,તો ત્યાં સુધીમાં રાખડી બાંધવી આવશ્યક છે. સોમવારને દિવસે આવેલી રક્ષાબંધન ભાઇની પ્રતિભાને વધારવા માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલી પ્રાર્થના ચોક્કસ ફળે છે. શ્રાવણ સુદ પૂનમે રક્ષાબંધન પર્વની ઉજવણી થાય છે. જ્યોતીષ ચેતન પટેલના જણાવ્યા અનુસાર કોરોના રોગના આપત્તિકાળમાં આવનારી રક્ષાબંધન ખાસ કરીને ભાઇની રક્ષા કરે તે અનિવાર્ય છે. સાથે ચંદ્રના સોમવારે આવતી રક્ષાબંધન ભાઇબહેનના સંબંધો વધુ સૌમ્ય બનાવી ખીલવી જશે.
સવારે 9.28 સુધી ભદ્રા યોગ છે, જેના લીધે તેના પહેલા રાખડી ન બાંધવી જોઈએ.ધાર્મિક માન્યતાઓ અનુસાર ભદ્રા સમયે રક્ષાબંધન કાર્ય કરવું વર્જિત મનાય છે . તેથી,તેના અંત પછી જ, બહેને ભાઈના કાંડા પર બાંધવી જોઈએ માટે 3 ઓગસ્ટે સવારે 9.28 કલાકથી રાત્રે 9.11 સુધીના શુભ મુહૂર્તમાં રક્ષાબંધન કરવું જોઈએ જેથી ભાઈની રક્ષા થાય અને ભાઈ કુશળ રહે તેવી બહેનની કામના પૂર્ણ થાય અને બહેન ભાઈનો પ્રેમ પણ વધુ અતૂટ રહેશે.
રાખડી બાંધવા માટે 9.29થી 11.7 મિનિટનું મુહૂર્ત શુભ
- સવારે 9.29 થી 11.07 મિનિટ સુધી ચલ ચોઘડિયું
- બપોરે 12.19 થી 13.13 મિનિટ અભિજિત મુહૂર્ત
- બપોરે 2.24 થી 4.02 મિનિટ શુભ ચોઘડિયું
- બપોરે 4.02 થી 5.40 મિનિટ લાભ ચોઘડિયું
- સાંજે 5.40 થી 7.19 અમૃત
- સાંજે 7.19 થી 8.40 ચલ ચોઘડિયું
તપોધન યુવા બહ્મ સમાજ ઓનલાઈન જનોઈ ધારણ કરાવશે
કોરોનાને લીધે તપોધન યુવા બ્રહ્મ સમાજ દ્વારા ઓનલાઈન યજ્ઞોપવીત ધારણ કરાવશે. સમાજના યુવા પ્રમુખ પાર્થ રાવલના જણાવ્યા અનુસાર 50થી વધુ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ગોર મહારાજની ઉપસ્થિતિમાં ઓનલાઇન યજ્ઞોપવીત ધારણ કરશે.