કોરોનાના કહેર વચ્ચે ભક્તો ઘરે બેઠા કથાનું રસપાન કરી શકશે
ભાવનગર. કોરોનાના કહેર વચ્ચે તુલસીદાસ જયંતી અને શ્રાવણ માસ નિમિત્તે આગામી 25 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી તલગાજરડાના હનુમાનજી મંદિરના સાંનિધ્યમાં મોરારિબાપુની ઓનલાઈન રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરારિબાપુની 846મી રામકથાનું રસપાન મોરારિબાપુની વેબસાઈટ અને સંગીતની દુનિયા અને ચિત્રકુટધામ તલગાજરડાની યુટ્યુબ ચેનલ પરથી સવારે 9-30થી 12-30 વાગ્યા સુધી ભક્તો ઘરે બેઠા કથાનું રસપાન કરી શકશે.
સંગીતની સંગત કે શ્રોતાઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિ વગર કથા યોજાશે
શ્રાવણ માસ નિમિત્તે તલગાજરડાના પીઠોરિયા હનુમાનજીના સાંનિધ્યમાં મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. સંગીતની સંગત કે શ્રોતાઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિ વગર આ કથા યોજાશે. મોરારિબાપુની રામકથા કોરોનાથી સંક્રમિત એવા કપરા કાળમાં ‘સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ।’ એવા ‘સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય, સર્વભૂત પ્રિતાય’ આ કથાનું ગાન આરંભાશે. ઉલ્લેખનીય છે કે 27 જુલાઈએ રામચરિત માનસના રચયિતા સંત તુલસીદાસજીની જન્મ જયંતિ પણ છે.