સુરત: સુરતમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે અને તંત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા સુરત નગરપાલિકા સંચાલિત હોસ્પિટલ સ્મિમેરમાં કોરોના પોઝિટિવ આવેલા એક રત્નકલાકારે વીડિયો જાહેર કરી મારુ કંઇક કરો નહીં તો હું અહીં જ મરી જઇશ કહેનાર રત્નકલાકારનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત 17 જુલાઇના રોજ સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં રહેતા 38 વર્ષના હરસુખ ભીખાભાઇ વાધમસી કોરોના પોઝિટિવ થયા હતાં. તેઓ વ્યવસાયે રત્નકલાકાર હતાં. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરત નગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન તેમણે એક વીડિયો વાયરલ કર્યો હતો જેમાં તેઓ કહી રહ્યા હતાં કે, હું સ્મીમેર હોસ્પિટલમાં છું અહીંયા કોઈ પ્રકારની સુવિધા મળતી નથી. પ્રશાસન દ્વારા જાણ કરે તો ફોટો પાડી જાય અને વીડિયો ઉતારી શું તકલીફ છે એ જાણ કરજો એવા પ્રલોભનો આશ્વાસનો આપી જાય છે. આજે હું ત્રણ ચાર દિવસથી સતત એમ જ પડ્યો છું કોઈ સંભાળ લેતું નથી ફક્ત આશ્વાસન આપી ચાલ્યા જાય છે. વહેલામાં વહેલી તકે મને અહીથી ઉગારો નહી તો હું મરી જઈશ મારી બે હાથ જોડી વિનંતી છે. ભુંગળા લઈ લઈને આવી જાય વીડિયો ગ્રાફી કરવા, એ સાહેબ આ બાજુ જોવો તો…તમે કેટલી વાર આવો છો.. હલ્લો.. એ સાહેબ.. વિયા ગયાનો જોયું કોઈએ ન જોયું શુટીંગ કરતા કરતા વિયા ગયા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રત્નકલાકાર હરસુખ ભીખાભાઇ વાધમસી મૂળ અમરેલી બોરડી ગામના વતની હતા અને સુરતમાં હીરા ઘસવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં પત્ની અને એક પુત્ર તથા એક પુત્રી છે.