પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ઓગસ્ટમાં 4 જિલ્લામાં સુનાવણી યોજવાનું જાહેર કરતા વિરોધ શરૂ
ગાંધીનગર. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઉદ્યોગો માટેની પર્યાવરણીય સુનાવણી જાહેર કરવામાં આવતા મુખ્ય સચિવ અનીલ મુકીમને પત્ર લખીને સુનાવણી મોકૂફ રાખવા રજૂઆત કરાઇ છે. પર્યાવરણ મિત્ર સંસ્થાના મહેશ પંડ્યાએ કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે હાલમાં કોરોના સંક્રમણથી બચવા સરકાર લોકોને ઘરની બહાર નહીં નીકળવા અનુરોધ કરે છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ઓગષ્ટ મહિનામાં ઉદ્યોગો માટેની પર્યાવરણીય સુનાવણી એકસાથે ચાર જિલ્લામાં યોજવાનું જાહેર કર્યું છે. ખેડા, સાબરકાંઠા, મોરબી અને દેવભૂમી દ્વારકામાં આ સુનાવણી યોજાવાની છે ત્યારે લોકોએ અને તજજ્ઞોએ ફરજિયાત ભાગ લેવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. સુનાવણીમાં એક જ સ્થળે સેંકડો લોકો ભેગા થવાની શક્યતાથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઇઓનો ભંગ થવાની સંભાવના છે. જેથી સુનાવણી મોકૂફ રાખવી જોઇએ.