વિનામૂલ્યે દવા, કન્સલ્ટેશન, ચેકિંગ અને ટેલીફોનિક મોનિટરિંગ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓને સંજીવની રથ દ્વારા નિયમિત ચેકઅપ

કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણની કડી તોડવા માટે શરદી તાવના દર્દીઓને શોધી તેઓના ટેસ્ટ કરવા અત્યંત આવશ્યક હોઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાઓ ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે, સાવ સામાન્ય લક્ષણ ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓને મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહેલી હોમ આઈસોલેશનની નિ:શૂલ્ક સેવા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૭૫ સંજીવની રથથી લોકોને સેવા આપવામાં આવી રહી છે જેના મારફતથી હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓનું નિયમિત ચેકઅપ કરવામાં આવે છે. જેમાં દર્દીનું ઓક્સિજન લેવલ, ટેમ્પરેચર, પલ્સ જેવી ચકાસણી કરવામાં આવે છે. જો દર્દીને વધુ સારવારની જરૂરિયાત જણાય તો તુર્ત જ ૧૦૮ ને બોલાવીને દર્દીને હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી પણ સંજીવની રથ કરી આપે છે. સારવાર હેઠળ રહેલા દર્દીને નિયમિત ટેલીફોનીકથી મોનિટરિંગ કરવામાં આવે છે સાથોસાથ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં આવે છે. જો કોઇ દર્દીને તકલીફ જણાય તો તાત્કાલિક વધુ સારવારની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.

હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા ખાતે સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે જ્યાંથી હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓની દરરોજ ટેલીફોનીક સંભાળ લેવામાં આવે છે, જરૂર જણાય તો સંજીવની રથ દ્વારા તુર્ત જ દર્દીના ઘરે જઈને ચેકઅપ કરવામાં આવે છે. હોમ આઇસોલેશન માટે મહાનગરપાલિકાના આશરે ૩૦૦ થી વધુ કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેમાંથી ૧૭૫ જેટલા આરોગ્ય કર્મીઓ સંજીવની રથ સાથે સતત ફિલ્ડમાં ફરજ બજાવે છે અને ૧૨૫ લોકો કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનીક સંભાળ લેવાની કામગીરી બજાવે છે. સંજીવની રથ સાથે જરૂરી મેડીકલ ટીમ પણ રાખવામાં આવી છે જેમાં મેડીકલ, પેરામેડીકલ સ્ટાફ રાખવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા સંજીવની સેવા રથની મદદથી હોમ આઇસોલેશન સારવાર વિનામુલ્યે આપવામાં આવે છે. કોરોના પોઝિટિવ દર્દીને ગભરાવાની જરૂર નથી, મનપા દ્વારા નિયમિત સંભાળ લેવામાં આવે છે. તેઓને વિનામૂલ્યે તમામ સારવાર અને સહયોગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાપ્ત થઇ રહયો છે.

હોમ આઇસોલેશન સારવાર સંપૂર્ણ પેપરલેસથી કરવામાં આવી રહી છે. હોમ આઇસોલેશનની વ્યવસ્થા કમ્પ્યુટર સિસ્ટમ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ એપ્લીકેશન ‘કોવીડ ટ્રેસ’ દ્વારા કરવામાં આવે છે. આ એપ્લીકેશન મારફત જ સ્ટાફ દ્વારા રીપોર્ટીંગની કામગીરી પણ કરવામાં આવે છે.

જ્યારે કોઈ વ્યક્તિનો લેબ ટેસ્ટ થાય અને તેને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થાય ત્યારે એ વ્યક્તિને સરકારી (સિવિલ) હોસ્પિટલ કે મનપાના આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અથવા તો પ્રાઈવેટ ડોક્ટર એ દર્દીને ઘેર રહીને સારવાર (હોમ આઈસોલેશન) લઇ શકાય છે તેવું જણાવે ત્યારે એ દર્દી હોમ આઈસોલેટ થઇ શકે છે. જોકે ઘેર રહીને સારવાર કરવા માટે દર્દીના ઘેર અલગ રૂમ અને તેના માટે અલગ બાથરૂમ – ટોઈલેટ હોવા જરૂરી છે. જો આ સુવિધા તેના ઘરમાં ના હોય તો તે સરકાર દ્વારા સંચાલિત સમરસ હોસ્ટેલમાં કાર્યરત્ત કોવિડ કેર સેન્ટરમાં દાખલ થઇ શકે છે અને ત્યાં પણ નિ:શૂલ્ક સારવાર અને રહેવા જમવાની સુવિધા તેને મળે છે.

હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની સારવાર અને મોનિટરિંગ માટે મહાનગરપાલિકા ખાતે ખાસ કંટ્રોલ રૂમ (ફોન નંબર-૦૨૮૧ – ૨૨૨૦૬૦૦, ૨૨૨૩૮૪૨) સવારે ૦૮:૦૦ વાગ્યા થી રાતના ૦૮:૦૦ વાગ્યા સુધી ચલાવવામાં આવી રહયો છે. હોમ આઈસોલેટ થયેલા દર્દીઓને મનપાના આરોગ્ય કેન્દ્રો અને સંજીવની રથના માધ્યમથી કન્સલ્ટેશન, ચેકિંગ, દવા અને મોનિટરિંગની સેવા તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. મનપાના કંટ્રોલ રૂમ દ્વારા ટેલીફોનિક અને રૂબરૂ પણ આ દર્દીઓની નિયમિત સમયાંતરે ખબરઅંતર પૂછવામાં આવે છે અને દર્દીને સ્વાસ્થ્ય સંબંધી જો કોઈ મુશ્કેલી હોય તો તેનું ફોલોઅપ કરવામાં આવે છે.