- રાજકોટ શહેરમાં પોઝિટિવની સંખ્યા 984 થઈ
- બિનખેતી શાખાના મામલતદારનો રિપોર્ટ પોઝિટિવ
રાજકોટ. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંક વધી રહ્યો છે. પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે આજે સવારે રાજકોટમાં વધુ 2 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા છે. ગોંડલના 72 વર્ષીય વૃદ્ધનું અને ધોરાજીના 60 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે જિલ્લા કલેકટર કચરીમાં એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જિલ્લા કલેકટર કચેરીમાં વધુ 1 કર્મીનો રિપોર્ટ પોઝિટિવ
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં વધુ એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બિનખેતી શાખાના મામલતદાર હિતેશ તન્નાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વનું છે કે જિલ્લા કલેક્ટર કચેરીમાં અત્યાર સુધીમાં 6 લોકો કોરોના સંક્રમિત થયા છે.
રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 1520ને પાર
રાજકોટ શહેરમાં પોઝિટિવ સંખ્યા 984 થઈ છે. જેમાં 549 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 1520ને પાર પહોંચી ગઈ છે. ગોંડલ, જેતપુર અને ધોરાજી કોરોનાના નવા હોટસ્પોટ બન્યા છે.
આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.