બાંધકામ સાઇટ પર લિફ્ટના ખાડા, સેલરમાં વરસાદી પાણી એકત્ર થયેલું જોવા મળ્યું હતું
રાજકોટ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેલરિયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન બાંધકામ સાઇટ, બેંક, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, પેટ્રોલ પંપ અને સ્કૂલ સહિત 225 સ્થળોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 219 સ્થળ પરથી મચ્છરના પોરા મળી આવતા 30 હજારનો દંડ અને નોટિસ ફટકાવામાં આવી છે. બાંધકામ સાઇટ પર લિફ્ટના ખાડા, સેલરમાં વરસાદી પાણી એકત્ર થયેલું જોવા મળ્યું હતું. આ પાણીમાં ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છરના પોરા જોવા મળ્યા હતા. જ્યારે હોસ્પિટલની છત પર રાખેલા કુંડાઓ, સેલરમાં ભરાયેલા પાણીમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા.
મચ્છરજન્ય રોગોથી બચવા સાફસફાઈ રાખવી
મચ્છરોના પોરા માનવસર્જીત પાત્રો જેવા કે સિમેન્ટના ટાંકા, બેરલ, કેરબા, માટલા, ટાયર, ફ્રિજની પાછળની ટ્રે, ફુલદાની, કુલર, ફુલછોડના કુંડા, ભંગાર, અગાશી, છજામાં જમા રહેતા પાણીમાં આ મચ્છર ઇંડા મૂકે છે. જેમાંથી 7-12 દિવસમાં પુખ્ત મચ્છર બને છે. જેના કારણે ડેન્ગ્યુ જેવા મચ્છરોનો ઉપદ્રવ થાય છે. જેને અટકાવવા માટે બિનજરૂરી ડબ્બાડુબલી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરવો, પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરવા, ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરવું, પાણીની સિમેન્ટની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલા તમામ પાત્રો ઢાંકીને રાખવા, અગાશી, છજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરવો, છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરવો, ડેન્ગ્યુના મચ્છર દિવસે કરડતા હોવાથી દિવસ દરમિયાન શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા જોઈએ. જેથી ડેન્ગ્યુ જેવા રોગોથી બચી શકાય.