સુરત : મહિલા દર્દી અને મહિલા તબીબ વચ્ચે મા-દીકરી જેવો લાગણીસભર દૃશ્ય જોવા મળ્યાં

0
402

સુરતમાં કોરોના દર્દી ઘરે જવા તૈયાર ન હતા, સમજાવટ બાદ આંખોમાં આંસુ સાથે ઘરે જતી વખતે ડોક્ટરને ભેટી પડ્યાં, મહિલા તબીબે પગે લાગી આશીર્વાદ લીધા

સુરતમાં પરવત પાટિયા ખાતે મોદી આઇસોલેશન સેન્ટરમાં દર્દી અને ડોક્ટર વચ્ચે ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં. પહેલાં ઘરે જવા તૈયાર ન થનાર મહિલા ડોક્ટરોની સમજાવટ બાદ ઘરે પરત ફરી રહેલાં મહિલા દર્દીએ મહિલા તબીબને અશ્રુથી છલકાતી આંખોથી કહ્યું, તું તારી માતાની નહીં, અમારી સૌ કોઈની દીકરી છે, ડોક્ટરે માતાની જેમ દર્દીના પગ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા.

દર્દીઓને મળે છે હૂંફ, પ્રેમ અને વાત્સલ્ય
સુરત શહેરના આઇસોલેશન ભાવુક દૃશ્યો જોવા મળ્યાં છે. પર્વત પાટિયા મોદી કોવિડ કેર (આઇસોલેશન) સેન્ટરમાં મહિલા અને મહિલા તબીબ વચ્ચે મા-દીકરી જેવો લાગણીસભર દૃશ્ય જોવા મળ્યાં હતાં. સામાન્ય રીતે કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર લેવા માટે હોસ્પિટલમાં કે આઇસોલેશન સેન્ટરમાં જતા લોકો ડરી રહ્યા છે, પરંતુ સુરતમાં કંઈક અલગ જ પ્રકારનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. આઇસોલેશન સેન્ટરમાં સારવાર લઇને સાજા થઇ રહેલા દર્દીઓ પોતાના ઘરે પર જવા માટે તૈયાર નથી થતા, એની પાછળનું કારણ છે, દર્દીઓને મળતી હૂંફ, પ્રેમ અને વાત્સલ્ય, જેને કારણે તેઓ તેમનાથી જાણે દૂર જવા નથી ઇચ્છતા.

ડિસ્ચાર્જ થવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો
લતાબેન હડિયા કોરોના સંક્રમિત થયા બાદ મોદી કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેવા આવ્યાં હતાં. તેમની તબિયત પરિસ્થિતિ ગંભીર હતી. તેમનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછું હતું. એને કારણે તેઓ ખૂબ ભયભીત હતાં, પરંતુ એથી પણ સૌથી વધુ અકળાવનારી તેમના માટે જો કોઇ બાબત હતી કે તેમના પરિવારના લોકો પણ તેમની નજીક આવતા ડરતા હતા. એવા સમયે આઇસોલેશન સેન્ટરના ડોક્ટરો દ્વારા તેમને સંપૂર્ણ સારવાર આપવામાં આવી, તમામ ઇન્જેક્શનો મૂકવામાં આવ્યાં અને અંતે તેઓ કોરોનાને પછાડી સાજા થઈ ગયાં હતાં. પરંતુ સૌને આશ્ચર્ય તો ત્યારે થયું કે તેમનો ડિસ્ચાર્જનો સમય થઈ ગયો ત્યારે ડોક્ટર તેમના ડિસ્ચાર્જ કરવા માટે ગયા ત્યારે તેમણે ડિસ્ચાર્જ થવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો અને તેમણે હજી રહેવું છે એ પ્રકારની વાત કરી હતી.

ડોક્ટરોએ માતાની જેમ સારવાર આપતાં મહિલા દર્દીની આંખમાં આંસુ આવી ગયાં.

ડોક્ટરોએ માતાની જેમ સારવાર આપતાં મહિલા દર્દીની આંખમાં આંસુ આવી ગયાં.

ડોક્ટરોએ સમજાવ્યા બાદ ઘરે જવા મહિલા તૈયાર થયાં
ડોક્ટરોએ લતાબહેનને ખૂબ સમજાવ્યા બાદ પણ તેઓ પોતાના ઘરે જવા તૈયાર થયાં ન હતાં. બીજે દિવસે ફરીથી ડોક્ટરની ટીમ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા કે તેઓ સાજા થઇ ગયા છે અને તેમના ઘરે પરત જઇ શકે છે. ત્યારે લતાબેનની આંખો પ્રેમ અને આભારની અનુભૂતિ સાથે ડોક્ટરને ગળે ભેટી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જે સમયે મારા પરિવારના લોકો પણ મારી પાસે આવતા ગભરાતા હતા. તમે મને પોતાની માતાની જેમ સારવાર આપી છે. તમારું હું ઋણ કેવી રીતે ચૂકવી શકીશ. પોતાના પરિવાર નથી કરી શકતા એ તમે કોઈપણ સ્વાર્થ રાખ્યા વગર કર્યું છે. એ હું મારા જીવનમાં ક્યારેય નહીં ભૂલ શકીશ.

તબીબે પણ માતાની જેમ સારવાર આપી મહિલા દર્દીને સાજા કર્યા હતા.

આઈસોલેશન આત્મીયતા-લાગણી આપવાનું સેન્ટર બન્યું
ડોક્ટર પૂજા સહાનીએ જણાવ્યું હતું કે આઇસોલેશન સેન્ટરમાં છેલ્લા થોડા દિવસોથી અમને આવા અનેક અનુભવો થઇ રહ્યા છે કે વડીલો જ્યારે સારવાર લેવા આવી રહ્યા છે બાદમાં સાજા થઇ ગયા હોવા છતાં ડિસ્ચાર્જ લેવા તૈયાર નથી. મોટા ભાગના દર્દીઓ ડિસ્ચાર્જ લેવાની ના પાડે છે. આઇસોલેશન સેન્ટર જાણે સારવાર આપવાનું નહીં, પરંતુ આત્મીયતા અને લાગણી આપવાનું કેન્દ્ર બની ગયું છે.

ઘરે પરત જતાં મહિલા દર્દીને તુલસીનો છોડ આપવામાં આવ્યો હતો.

ઘરે પરત જતાં મહિલા દર્દીને તુલસીનો છોડ આપવામાં આવ્યો હતો.

દર્દીઓના આશીર્વાદ જ અમૂલ્ય મૂડી સમાન
તેમણે વધુમાં જણાવ્યું હતું કે લતાબેનની આંખોમાં આંસુ જોઈને અમે તમામ સ્ટાફ પણ પોતાની લાગણી છુપાવી નહોતા શક્યા. તેમણે જ્યારે મને કહ્યું કે તું માત્ર તારી દીકરી નથી, અમારી સૌકોઈ દીકરી છે. હું એકપણ ક્ષણનો વિલંબ કર્યા વગર માતા તરીકે તેમના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેવામાં જરા પણ સંકોચ રાખ્યો નહીં. આખરે દર્દીઓના આશીર્વાદ જ અમારા માટે અમૂલ્ય મૂડી સમાન બની રહ્યા છે. અત્યારસુધીના અનુભવ પરથી મારું એક તારણ એવું છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓને મેડિકલ સહાયની તો જરૂર છે, પણ સાથોસાથ આત્મીયતા અને હૂંફની વધુ જરૂર વર્તાઈ રહી છે.