વહિવટી તંત્ર સાથે રહી વિવિધ કામગીરી નિભાવતો આઈ.ટી.આઈ રાજકોટનો
૮૪ કર્મચારીઓનો કર્મનિષ્ઠ સ્ટાફ

રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આઈ.ટી.આઈ રાજકોટનો ૮૪ કર્મચારીઓનો કર્મનિષ્ઠ સ્ટાફ સઘન કામગીરી કરી રહ્યો છે.

વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ કરવાની મહત્વની કામગીરીની સાથોસાથ અનેક પ્રકારની સદભાવનાની કામગીરી કરવામાં આઈ.ટી.આઈ રાજકોટ અગ્રેસર રહ્યું છે. ટેકનિકલ-નોન ટેકનિકલ કામગીરીમાં વિદ્યાર્થીઓને નિપુણ કરતા શિક્ષકો અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત સસ્તા અનાજની દુકાનો પર અનાજ વિતરણની કામગીરી, ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર અંતર્ગત ફિલ્ડવર્કની કામગીરી તથા નામ નોંધણી તથા સર્વેની કામગીરી, કોવિડ -૧૯ ની કામગીરી અન્વયે સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ કેર સેન્ટર પર કિચન મેનેજમેન્ટ, ડિસ્ચાર્જ મેનેજમેન્ટ જેવી વિવિધ ફરજો, પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન જવા માટે તેમનું લીસ્ટ બનાવવું રજીસ્ટ્રેશન કરવું, રેલ્વે સ્ટેશન પહોંચાડવા, ભોજન લઈને ગાડીમાં બેસે ત્યાં સુધીની કામગીરી, કુંડલીયા કોલેજ ખાતે રેમડેસિવીર ઈન્જેક્શન માટે શરૂ કરાયેલા મધ્યસ્થ કેન્દ્ર ખાતેથી ઈન્જેક્શનના વિતરણની કામગીરી, ઉપરાંત રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન સિલીન્ડર મેનેજમેન્ટની કામગીરી, તથા જામનગર થી ઓક્સિજન સમયસર રાજકોટ લાવવાની જવાબદારી અને વિવિધ હોસ્પિટલ પર પહોંચાડવાની જવાબદારી ભરી કામગીરી બખુબી નિભાવી છે.

મેટોડા સ્થિત ઓક્સિજન પ્લાન્ટના ખાતે આઈ.ટી.આઈ રાજકોટના પ્રિન્સીપાલ નિપુણ રાવલ, સંજયભાઈ દલ, નિકુલભાઈ આહિર, વિપુલભાઈ સેન્ટા અને તેજસ કિન્હરખેડીયા છેલ્લા એક મહિનાથી બપોરે ૨ થી રાત્રીના ૧૦ સુધી સંચાલનની કામગીરી નિભાવી રહી છે.