પોલીસ આવતા જ મહિલાનો પતિ અચાનક આવી ગયો હતો
રાજકોટના ભગવતીપરા મેઈન રોડ પર નંદનવન સોસાયટી-3માં રહેતી મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરની મહિલા શારદાદેવી બલરામસિંગ ભદોરીયા (ઉ.વ.35)નો તેના જ ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાએ આત્મહત્યા કરી છે હત્યા થઈ છે તે અંગે બી ડિવીઝન પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે મોકલ્યો છે. મહિલાના ગળા પર ગળેટૂંપો દીધાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાનો પતિ બલરામસિંગ ભદોરીયા કલાકો સુધી ગાયબ થઈ ગયો હતો અને બાદમાં હાજર થઇ બોલ્યો હતો કે ‘મેરી બીવી કો કિસને માર ડાલા’
આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી
આસપાસમાં રહેતા લોકોમાં થતી ચર્ચા મુજબ મૃત્યુ પામનાર મહિલાની ઓરડીનો દરવાજો સવારથી જ ખુલ્લો હતો અને તેનો પતિ હાજર નહોતો. લોકોએ તપાસ કરતા મહિલા શારદાદેવીનો મૃતદેહ જોવા મળતા પોલીસને જાણ કરાઈ હતી. દરમિયાન પોલીસ આવતા જ મહિલાનો પતિ અચાનક આવી ગયો હતો અને બોલ્યો હતો કે મેરી બીવી કો કિસને માર ડાલા. બાદમાં તે રડવા લાગ્યો હતો. મહિલાનો ભાઈ પણ પહોંચી જતા પોલીસે બંનેની પૂછપરછ કરી હતી. મહિલાના મોત સાચુ કારણ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે તેવું પોલીસે જણાવ્યું હતું.