બાબરા, જસદણ, મોરબી અને રાજકોટના 4 દર્દીના કોરોનાથી મોત
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ મોતનો આંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં આજે વધુ 7 દર્દીના કોરોનાથી મોત નિપજયાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 4 અને ખાનગી હોસ્પિટલમાં 3 દર્દીના મોત નિપજ્યાં છે. જ્યારે કાલાવડના 55 વર્ષીય દર્દીનો કોરોના રિપોર્ટ આવે તે પહેલા જ મોત નિપજ્યું છે. સૌરાષ્ટ્રના બાબરા, જસદણ, મોરબી અને રાજકોટના 4 દર્દીના કોરોનાથી મોત નિપજ્યાં છે. જ્યારે રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ 1700ને પાર થઈ ગયા છે.
ક્રમ | નામ | ઉં.વ. | સરનામુ |
1 | મંજુલાબેન જસમતભાઈ અકબરી | 55 | કાલાવડ |
2 | નથુભાઈ પ્રેમજીભાઈ મેતાળીયા | 60 | બાબરા |
3 | ચેતનભાઈ કાનાબાર | 55 | રાજકોટ |
4 | કેશુભાઈ પારખીયા | 60 | જસદણ |
5 | હનીફાબેન અકબરશા શાહમદાર | 70 | મોરબી |
6 | પરસોતમભાઈ બાબુભાઈ ઉનડકટ | 83 | રાજકોટ |
7 | મોંઘીબેન વાઘેલા | 60 | રાજકોટ |
આજથી નવી કીટનો ઉપયોગ થશે
રાજકોટમાં હજુ પણ RTPCR ટેસ્ટ થઈ રહ્યાં છે. તેમાં પણ લેબની ક્ષમતાને ધ્યાને રાખીને ટેસ્ટ વધારાઈ શકતા નથી. બુધવારે માત્ર 194 ટેસ્ટ કરાયા હતાં. જેમાંથી 80 પોઝિટિવ આવ્યા છે એટલે કે પોઝિટિવિટી રેશિયો 41 ટકાએ પહોંચ્યો છે. જો કે આરોગ્ય વિભાગ જણાવે છે કે, રેપિડ ટેસ્ટ કરાય છે તે કુલ ટેસ્ટમાં હજુ ગણાતા નથી પણ તેમાંથી આવેલા પોઝિટિવ કેસ ગણવામાં આવે છે. બીજી તરફ રેપિડ ટેસ્ટ કિટની પણ અછત જોવા મળી રહી છે અને 1500 કિટ પૂરી થતા ગાંધીનગર માગવામાં આવતા 1000 કિટ પહોંચાડવામાં આવી છે જેનો ઉપયોગ આજથી કરવામાં આવશે.
હાલમાં 290 દર્દી સારવાર હેઠળ
રાજકોટમાં બુધવારે નવા 80 કેસની સામે 46 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. 500 બેડની ક્ષમતા ધરાવતી સિવિલ હોસ્પિટલમાં હાલ રાજકોટ તેમજ અન્ય જિલ્લાના સહિત કુલ 290 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે રાજકોટમાં 236 લોકો હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ સાથે રાજકોટમાં કુલ કેસ 1702 થયા છે.
રાજકોટમાં કન્ટેઇનમેન્ટ ઝોન અને ક્વોરન્ટીન લોકો પર નજર રાખવા JTE ટીમ બનાવી
રાજકોટમાં સતત વધી રહેલા કોરોનાના કેસો અને અનલોક-2ની છૂટછાટમાં લોકો માર્ગદર્શિકાનું પાલન કરતાં ન હોય ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ વચ્ચે બેઠક યોજાય હતી. બેઠકમાં JTE (જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ)ની રચના કરવા ચર્ચા કરવામાં આવી હતી. ચાર ACPના સુપરવિઝન હેઠળ 18 વોર્ડમાં 18 PSI, કોર્પોરેશનના વૉર્ડ ઇન્ચાર્જ સાથે રહી કન્ટેઈનમેન્ટ ઝોન પર નજર રાખશે. ક્વોરન્ટીન થયેલા લોકોના ફોનમાં સેફ રાજકોટ એપ ડાઉનલોડ કરાવડાવી ઓન લાઇન પણ ચેકિંગ થશે.