સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયદાનની તેત્રીસમી ઘટના..

0
333

શ્રી વિશા ઓસવાળ જૈન સમાજના દિનેશભાઈ મોહનલાલ છાજેડના પરિવારે તેમના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.સુરતથી મુંબઈનું 3૦૦ કિ.મીનું અંતર ૯૨ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નવી મુંબઈના રહેવાસી ૩૦ વર્ષીય વ્યક્તિમાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલમાં કરવામાં આવ્યું.

સુરતની એપલ હોસ્પિટલથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ સુધીનું ૨૭૪ કિ.મિ રોડ માર્ગનું અંતર ૧૮૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ૪૭ વર્ષીય મહિલામાં અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ૪૩ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તથા બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC હોસ્પિટલમાં સુરતની ૧૭ વર્ષીય વિદ્યાર્થીનીમાં કરવામાં આવી રહ્યું છે.હ્રદય, કિડની અને લિવર સમયસર મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા.

જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૮૬ કિડની, ૧૫૯ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૩ હૃદય, ૧૪ ફેફસાં અને ૨૯૦ ચક્ષુઓ કુલ ૮૮૮ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૧૬ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ સ્વ.દિનેશભાઈ મોહનલાલ છાજેડના પરિવારને તેમના આ પવિત્ર કાર્ય થકી થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટે નતમસ્તક વંદન કરે છે.અંગદાન…જીવનદાન…