રાજ્ય સરકાર દ્વારા આઇએએસ અધિકારીઓની થતી બદલીઓમાં વારેઘડી ગરબડ થઈ રહી છે, નિર્ણયની અસ્થિરતાને કારણે આમ થઈ રહ્યું છે. ગત 19મી જૂને 77 IASના સાગમટે થયેલા તબાદલામાં સુરેન્દ્રનગરના કલેક્ટર કંકીપતિ રાજેશની બદલી રાજ્યના ગૃહ વિભાગમાં અતિ મહત્ત્વની ગણાતી જગ્યા જોઇન્ટ સેક્રેટરી કાયદો અને વ્યવસ્થા તરીકે થઈ હતી.
પરંતુ માત્ર 7 દિવસમાં જ ફરી એમને આ સ્થાનેથી હટાવી સાઇડલાઇન પોસ્ટિંગ ગણાતા જીએડીમાં એનઆરઆઈ-વહીવટ સુધારણા પ્રભાગના જોઇન્ટ સેક્રેટરીપદે મૂકી દેવાયા છે. વર્ષ 2011ની બેચના આ આંધ્રપ્રદેશના અધિકારીએ સુરેન્દ્રનગરમાં કલેક્ટર તરીકે ત્રણ વર્ષ ફરજ બજાવી હતી.
કે. રાજેશની બદલીની માફક નિર્ણયકર્તાઓએ હર્ષદ પટેલના તબાદલામાં પણ લોચો માર્યો હતો. 2005 બેચના આ જુનિયર આઇએએસને ૯મી જૂનની બદલીઓ વખતે રાહત કમિશનરપદેથી ખસેડી અગ્રસચિવ કે અધિક મુખ્ય સચિવ દરજ્જાના અધિકારીઓનું જ્યાં પોસ્ટિંગ થાય છે તેવા શ્રામ-રોજગાર વિભાગના મુખ્ય અધિકારીના સ્થાને મુકાયા હતા.
પરંતુ સરકારનું ધ્યાન દોરવામાં આવતા, 19મી જૂને એમને જીએસઆરટીસીના ઉપાધ્યક્ષ- એમ. ડી.પદે પોસ્ટિંગ અપાયું હતું. આમ, ઉચ્ચસ્તરેથી નિર્ણયની અસ્થિરતાને લીધે અધિકારીઓ પણ હેરાન થઈ રહ્યા છે.