- અનલોક-3ની માર્ગદર્શિકા પ્રમાણે ડાયમંડ ઉદ્યોગને વેગ આપવા નિર્ણય
- અગાઉ સમય 2 થી 6 હતો અને એક ઘંટી પર 1 જ રત્નકલાકારને બેસવાની મંજુરી હતી
સુરત 1 ઓગસ્ટથી અનલોક-3 લાગુ પડશે તે માટેની સરકારની માર્ગદર્શિકાનને સુસંગત નિયમ પ્રમાણે મહાપાલિકા નિર્ણય લઈ રહી છે. ડાયમંડના ધંધા રોજગારને વેગ આપવા હીરા બજાર ખુલ્લા રાખવાનો સમયમાં વધુ છુટછાટ આપી 2 કલાકનો વધારો કરાયો છે. જે અગાઉ 2 વાગ્યાથી સાંજે 6 સુધીનો જ સમય હતો. તેમાં, હવે 2 કલાક વધારો થતાં 12 વાગ્યાથી સાંજે 6 સુધીનો સમય કરવામાં આવ્યો છે. સાથે હીરાના કારખાનાઓમાં એક ઘંટી પર એક જ રત્નકલાકારને બેસાવા માટેની પાલિકા તરફથી મંજુરી હતી તેને બદલે ઘંટી પર બીજો રત્ન કલાકાર પણ હવે બેસી શકશે.
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, 1લી ઓગસ્ટથી બે કલાકનો સમય હીરા બજારનો વધારાયો છે. ડાયમંડ યુનિટ્સમાં કોવિડમાં જેટલા લોકો સાજા થયાં છે તેઓ ડાયમંડ ઘંટીઓ પર બેસી શકે છે. તેમજ જે તે યુનિટ પોતાના ખર્ચે તેના કામદારોનું એન્ટિજન ટેસ્ટ કરાવે અને તેમાં જો નેગેટિવ હોય તો તે ઘંટી પર બીજી વ્યક્તિ તરીકે બેસી શકે છે. એટલે એક ઘંટી પર બે વ્યક્તિઓ સંક્રમણ નહી થાય તે રીતે બેસી શકે છે.