રામ મંદિરના નિર્માણ માટે દેશમાંમાંથી 11.30 કરોડ અને USAમાંથી 4.10 કરોડ સહિત કુલ 18.61 કરોડ એકત્ર થયાઃ મોરારિબાપુ

0
360

ભારતમાંથી એકત્ર થયેલી રકમ મંદિરની શિલાન્યાસ વિધિના દિવસે પહોંચી જશે

અમરેલી તલગાજરડામાં કથાકાર મોરારિબાપુની રામકથા ચાલી રહી છે. લોકો ટીવી અને ઇન્ટરનેટના માધ્યમથી રામકથાનો લાભ લઈ રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં થોડા દિવસ પહેલા મોરારિબાપુએ ચાલુ કથાએ 5 કરોડ રૂપિયા એકત્ર કરવાની શ્રોતાગણને અપીલ કરી હતી. પરંતુ 5 કરોડના બદલે અલગ અલગ દેશમાં કથાનું શ્રવણ કરતા લોકો દ્વારા 18 કરોડ, 61 લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે.

ગઇકાલે 1 ઓગસ્ટના દિવસે રાત સુધીની અવધી હતી
મોરારિબાપુએ ચાલુ કથાએ વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે, જે આપણે તુલસીપત્ર પ્રભુની સેવામાં રાખ્યું છે તેની છેલ્લી યાદી ગઈકાલ રાત સુધીની અવધી રાખી હતી. આજે મને નિલેશે છેલ્લી યાદી આપી છે. બધા જ પ્રસન્ન થઈ ગયા છે. આપણા દેશમાંથી કાલે અવધી પુરી થઈ ત્યાં સુધીમાં 11 કરોડ 30 લાખ 10 હજાર રૂપિયા પ્રભુ સેવામાં અર્પણ કર્યા છે. યુકે અને યુરોપમાંથી 3 કરોડ 20 લાખ 80 હજાર રૂપિયા એકત્ર થયા છે. અમેરિકા, કેનેડા અને અન્ય દેશમાંથી 4 કરોડ, 10 લાખ 10 હજાર રૂપિયા એકત્ર થયા છે. કુલ રકમ 18 કરોડ 61 લાખ રૂપિયા તમે બધાએ એકત્ર કર્યા છે.

ભારતની રકમ બે-ત્રણ દિવસમાં અયોધ્યા પહોંચી જશે
મોરારિબાપુએ વધુમાં જણાવ્યું હતું કે, આ રકમ તાત્કાલિક નહીં પણ જેમ જરૂર પડશે તેમ મોકલવામાં આવશે. ભારતમાંથી આવેલી રકમ 5 ઓગસ્ટના રોજ મોકલાવામાં આવશે. કારણ કે 5 ઓગસ્ટના રોજ તો આપણા વડાપ્રધાન સહિત વિવિધ ક્ષેત્રના દિગ્ગજો હાજર રહેવાના છે ત્યારે આ રકમ આપણે મોકલીશું. અયોધ્યા રામમંદિરની શિલાન્યાસ વિધિ શરૂ થાય તે પહેલા 11 વાગ્યે આ રકમ પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ભારતની રકમ તો બે-ત્રણ દિવસમાંથી પહોંચી જશે. પરંતુ વિદેશની રકમ 7 કરોડ 90 લાખ રૂપિયા સલામત હાથમાં તમારૂ દાન સુરક્ષિત રહેશે અને જ્યારે પણ મંજૂરી મળશે કે આ રકમ મોકલી દેવામાં આવશે.