લક્ષ્મીનગરને લાગુ અપ્રોચ રોડ ડેવલપ કરવા અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપતા મ્યુનિ. કમિશનર
શહેરના મધ્યમાં અને ખુબ જ અવર-જવર રહેતી હોય છે તેવા લક્ષ્મીનગર નાલા ખાતે અન્ડરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ચાલુ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી અને સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય તેના પર ભાર મૂકી રહેલા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે તા. ૧૪-૦૭-૨૦૨૧ના રોજ લક્ષ્મીનગર નાલા ખાતે નિર્માણ પામી રહેલા અન્ડરબ્રિજની મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરએ લક્ષ્મીનગરને લાગુ અપ્રોચ રોડ ડેવલપ કરવા સંબધિત અધિકારીને અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા રેલવેની એજન્સી જય જવાન જય કિશાન કન્સ્ટ્રકશનને પણ સુચના આપી હતી.

મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ અને સી. કે. નંદાણી, રેલ્વેના સીનીયર એન્જી. રાજકુમાર, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, સિટી એન્જી. એચ. એમ. કોટક અને સિટી એન્જી. કે. એસ. ગોહેલ તથા જય જવાન જય કિશાન કન્સ્ટ્રકશનના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.