રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સડક પિપળીયા ગામમાં સરપંચ અને તલાટી સામે એસીબીએ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં કામોના ઠરાવ કર્યાં બાદ સરપંચ કાંતિભાઈ ચોવટીયા અને તલાટી નિલેશ પુરોહિત સામે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પંચાયતના અધિનિયમ મુજબ કામના ઠરાવ કર્યાં બાદ હિસાબી ગોટાળા કરવામાં આવ્યા હતા. જે મામલે ખુલાસો થતા એસીબીએ એક્શન લીધી છે. જેમાં પોતાની સત્તાનો દુરુપયોગ કરી ચેકમાં ગેરરિતી આચરી 12 લાખ 47 હજારનું સરકારને નુકસાન કરવાનું સામે આવ્યું છે. ત્યારે આ ગોટાળાની જાણ થતા એસીબી અધિકારીએ ફરિયાદી બની સરપંચ અને તલાટી સામે ગુનો નોંધાવ્યો છે.
લાભાર્થીઓના ચેકમાં ગેરરીતિ કરતા હતા
સરપંચ અને તલાટીએ કામ અંગે કોઇ પણ એસ્ટીમેટ કે તાંત્રિક મંજૂરી કે પંચાયતના ઠરાવ પસાર કર્યાં નહોતા. વધુમાં માપપોથીમાં પણ આ અંગે કોઇ રેકોર્ડ કે કમ્પલિશન સર્ટી મેળવવામાં આવ્યું નહોતું. ત્યારે એસીબીએ આ મામલે તપાસ કરતા વાઉચરો અને લાભાર્થીઓના ચેકમાં ખોટી રીતે ગેરરીતિ આચરી નુકસાન પહોંચાડ્યું હોવાનું ખુલ્યું હતું. ત્યારે એસીબીએ હાલ બંને સામે ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે.