માતા-પુત્રના મોત બાબતે શંકા કુશંકા
ગર્ભવતી મહિલા નાનીબેને ક્યાં કારણોસર આ પગલું ભર્યું તેનું કારણ અકબંધ.
અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકામાં સુરજપુરકંપાની સીમમાં એક ઝાડ પર લટકતી હાલતમાં માતા-પુત્રની લાશો મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અપમ્રુત્યુંના બનાવોમાં વધારો થયો છે. માલપુર તાલુકાના સુરજપુરકંપાની સીમમાં એક ઝાડ પર લટકતી હાલતમાં માતા-પુત્રની લાશો મળી આવ્યા બાદ વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં લોકોમાં અનેક શંકા કુશંકાઓ વચ્ચે ચકચાર મચી જવા પામી છે.
મોડાસા તાલુકાની અણદાપુરની પરિણીતા નાનીબેનનો મૃતદેહ ત્રણ વર્ષના પુત્ર ભુરીયા સાથે સાડીનો ગળાફાંસો બનાવી ઝાડ પર લટકી જઇ મોતને વહાલું કરતાં ગર્ભવતી મહિલાએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે બાબતે લોકોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલા સાથે માલપુરના પી. આઈ. એફ એલ. રાઠોડે ઘટનાસ્થળે પહોંચી મ્રુતક મહિલા નાનીબેન અને માસુમ પુત્ર ભુરીયાની લાશો નિચે ઉતરાવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
પોલીસ ઈન્સ્પેક્ટર એફ. એલ. રાઠોડ અને માલપુર પોલીસની ટીમે મરનાર મહિલા નાનીબેનના પતિ મહેન્દ્રભાઈ બામણિયાની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, પત્ની નાનીબેન પુત્ર સાથે ગુરુવારે બપોરે બાર વાગ્યાના સુમારે અણદાપુરથી નિકળી ગઈ હતી પત્ની નાનીબેન પુત્ર ભુરીયા સાથે ઘરેથી નીકળી ગયા બાદ પતિ મહેન્દ્રભાઈ પત્નીના પિયર વિરણીયા ગયો હતો. ગર્ભવતી પત્નીએ કયા કારણોસર આવું પગલું ભર્યું તે બાબતે પોતે અજાણ હોવાનું પતિ મહેન્દ્રભાઈ બામણિયાએ જણાવ્યું હોવાનું જાણવા મળેલ છે.
અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી