બાળકીના રડવાનો અવાજ અને પગ પછાડવાનો અવાજ આવ્યાં ગૃહમાતાએ પોલીસને જાણ કરી હતી
અમદાવાદ નવજાત બાળકોને તરછોડવાની ઘટનાઓ શહેરમાં વધી રહી છે. નિષ્ઠુર વ્યક્તિ કે માતા બાળકને રોડ પરથી કે કચરાપેટી પાસે છોડી જાય છે ત્યારે રાયપુરમાં મહિપતરામ રૂપરામ આશ્રમ બહાર બાંધેલા પારણામાં એક બાળકી મળી આવી હતી. ગઈકાલે વહેલી સવારે બાળકીના રડવાનો અવાજ અને પગ પછાડવાનો અવાજ આવ્યોને ગૃહમાતાને જાણ થતા પોલીસને જાણ કરાઈ હતી. કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બાળક તરછોડી ન દે તે માટે મહિપતરામ રૂપરામ આશ્રમ બહાર એક પારણું મુકવામાં આવેલું છે
રાયપુર દરવાજા પાસે મહિપતરામ રૂપરામ આશ્રમ આવેલો છે. નિરાધાર કે તરછોડેલા બાળકોની સારસંભાળ આ આશ્રમમાં કરવામાં આવે છે. રોડ પર કે કચરાપેટીમાં બાળક તરછોડી ન દે તે માટે આશ્રમ બહાર એક પારણું મુકવામાં આવેલું છે. જેમાં પારણામાં કોઈ નિરાધાર બાળકો મૂકી જાય તો તેને આ આશ્રમ દ્વારા પાલન કરવામાં આવે છે. ગઈકાલે વહેલી સવારે દુધવાળો અને રસોઈયો આવ્યા હતા.
પોલીસે ગુનો નોંધી બાળકીને તરછોડી દેનારને પકડવા તજવીજ હાથ ધરી
દૂધ લેવા ગૃહમાતા અનિતા બહેન આવ્યા ત્યારે પારણું હલતું હતું. તેમાં પગ પછાડવાનો અને રડવાનો અવાજ આવવા લાગ્યો હતો. તેઓએ જોતાં એક તાજી જન્મેલી નવજાત બાળકી હતી. આ બાળકી બે કિલો વજનની આશરે સાતેક દિવસની હશે. કાગડાપીઠ પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ગુનો નોંધી બાળકીને તરછોડી દેનારને પકડવા તજવીજ હાથ ધરી છે.