સોમનાથ મંદિરના પુન:નિર્માણમાં સરદાર પટેલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી
અમદાવાદ દેશના બે મોટા મંદિરના નિર્માણમાં ગુજરાત અને ગુજરાતીઓની મહત્ત્વની ભૂમિકા રહી છે. સોમનાથ મંદિરના પુન:નિર્માણમાં તત્કાલીન નાયબ વડાપ્રધાન સરદાર પટેલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે આજે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસની ઐતિહાસિક ઘટના આકાર લઈ રહી છે ત્યારે રામ મંદિરના નિર્માણમાં પણ ગુજરાત અને ગુજરાતીઓની ભૂમિકા સૌથી મહત્ત્વની રહી છે. સોમનાથ મંદિરની ડિઝાઇન તૈયાર કરનાર ગુજરાતનો સોમપુરા પરિવારે જ અયોધ્યામાં રામમંદિરની ડિઝાઇન તૈયાર કરી છે.
80ના દાયકામાં રામ મંદિર નિર્માણ માટે ભાજપ નેતા એલ કે અડવાણીએ સોમનાથથી રથયાત્રાનો આરંભ કર્યો હતો. આ રથયાત્રામાં નરેન્દ્ગ મોદીની ભૂમિકા મહત્ત્વની હતી. 1989થી નરેન્દ્ગ મોદીએ મંદિરના નિર્માણ માટે રામશિલાઓ અયોધ્યા મોકલવાની કામગીરી સંભાળી હતી.
રામ મંદિર નિર્માણ માટે સૌથી વધુ રામશિલા ગુજરાતે આપી
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે દેશમાં સૌથી વધારે રામશિલાઓ ગુજરાતમાંથી મોકલવામાં આવી હતી. માત્ર દક્ષિણ ગુજરાતમાંથી દોઢ લાખ જેટલી રામશિલાઓ મોકલવામાં આવી હતી. જ્યારે પથ્થરો કોતરવાની કામગીરીમાં સૌરાષ્ટ્રના અનેક કારીગરો અયોધ્યા ગયા હતા.
સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર માટે સરદારે પ્રતિજ્ઞા લીધી હતી
દેશના પ્રથમ ના. વડાપ્રધાન સરદાર પટેલે 1947ની 13 નવેમ્બરના રોજ સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારની પ્રતિજ્ઞા લીધી હતી. 1951ની 11મેના રોજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે, આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે’.
ગુજરાતમાં મુસ્લિમોએ પણ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું
ગુજરાતમાં 600 ગામોમાંથી યાત્રા પસાર થઇ હતી જેતપુરમાં સભામાં કાર્યકરોએ લોહીથી છલોછલ ભરેલી બરણી આપી હતી. કાર્યકરોએ ગામેગામથી ઇંટો એકત્ર કરી હતી. ઘરે-ઘરે જઇ એક-બે રૂપિયા લઇને પણ ભંડોળ એકત્રિત કર્યું હતું. મુસ્લિમોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું.