મ્યુનિ.કમિશનર અમિત અરોરા
- હરવા ફરવાના સ્થળોએ લોકો બેદરકાર બનશે તો સંક્રમણ ફેલવવવાની શક્યતા
જન્માષ્ટમીના તહેવારો આ સપ્તાહના અંતમાં શરૂ થઈ રહ્યા છે. આ તહેવારોમાં લોકમેળાનું મહત્ત્વ હોય છે પણ કોરોનાને કારણે લોકમેળો સતત બીજા વર્ષે નહીં યોજાઈ પરંતુ મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આજે પત્રકાર પરિષદ સંબોધીને જાહેરાત કરી છે કે- તહેવારોમાં આજી ડેમ, ન્યારી ડેમ, પ્રદ્યુમ્ન પાર્ક અને ઝૂ ખુલ્લા રહેશે,જરૂર જણાશે તો ટેસ્ટિંગ ટીમો પણ મુકાશે.ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં પ્રથમ વખત તહેવારોમાં જાહેર સ્થળોએ ફરવાની મંજૂરી અપાઈ છે તેથી આ સ્થળોએ પણ જો ટોળાં એકઠા થયા તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થશે તો જવાબદારી કોની !
મુખ્ય સ્થળોએ મેડીકલ ટીમની વ્યવસ્થા કરાશે
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, ઈશ્વરિયા પાર્ક સહિતના સ્થળો તહેવારોમાં ખુલ્લા રહેશે. જોકે તેમાં ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ન થાય તે માટે પ્રવેશ આપવા માટે મર્યાદા નક્કી કરાશે ત્યાં મુલાકાતીઓને માસ્ક તેમજ સેનિટાઈઝેશન બાદ જ પ્રવેશ આપવામાં આવશે.તેમજ કોવીડ ગાઈડલાઈનનો અમલ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય સ્થળોએ મેડીકલ ટીમો, સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ શહેરીજનોએ પણ કોરોના સાવ ખતમ નથી તે ધ્યાનમાં રાખી કોવીડ ગાઈડલાઈનનું પાલન કરવા તેમજ ખાસ કરીને બાળકોની ખાસ તકેદારી રાખવા માટે અપીલ કરું છું
મનગમતા પિકનિક સ્થળ ઉપર ફરી શકશે
તહેવારો દરમિયાન શહેરીજનોમાં રેસકોર્ષ, પ્રદુમન પાર્ક સહિતના સ્થળોએ ફરવાનો ક્રેઝ કાયમી રહ્યો છે. હાલ કોરોના કાળમાં બહાર જવાનું લોકો ટાળી રહ્યા છે. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન શહેરીજનો પોતાના મનગમતા પિકનિક સ્થળ ઉપર ફરી શકશે. પરંતુ જો તહેવારની ઉજવણીમાં શહેરીજનો બેદરકારી દાખવશે તો અવશ્ય ત્રીજી લહેરને તેડું આવી જશે તેમાં શંકાને સ્થાન નથી. આગામી દિવસોમાં કર્ફ્યૂમાં છૂટછાટ મળવાની સંભાવના જોવાઈ રહી છે. ત્યારે સ્થાનિક લોકો પોતાની આજુબાજુમાં આવેલા ગાર્ડનમાં પણ મોડે સુધી મોજ માણી શકે તે માટે અને બાળકો ઝૂમાં જઈ શકે તે માટે પણ આ પ્રકારના સ્થળો પર કર્ફ્યૂંમાં છૂટછાટ આપવામાં આવી છે.