પોરબંદરઃ આજે સવારે બરડાના જંગલ વિસ્તારમાંથી પતિ-પત્ની અને અન્ય એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ ત્રણેય લોકો બે દિવસથી ગુમ હતા, ત્યારે આજે તેમની લાશો મળી આવતાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે, તેમના મોતનું કારણ અકબંધ છ. મહિલા ફોરેસ્ટ કર્મચારીની હત્યા પછી ભીનુ સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસથી ગુમ ત્રણેય લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કાર લઇને જંગલમાં ગયા પછી ત્રણેય લોકો ગુમ થયા હતા. જેમાં મહિલા બીટ ગાર્ડ તેમના પતિ અને શ્રમિક એમ ત્રણ લોકોની હત્યા કરાઇ છે. આપને જણાવી દઇએ કે, મહિલા બીટ ગાર્ડના સસરાએ પોલીસને ગુમ થયાની જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. મહિલાના પતિ કિર્તીભાઇ પોરબંદરના રાતડી ગામમાં શિક્ષક છે. અને મહિલા બીટ ગાર્ડ હેતલબેન સોલંકી પોરબંદરના ગોઢાણા બીટમાં ફરજ બજાવે છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૃતક હેતલ રાઠોડ(ઉં.વ. 30) તેમના પતિ કીર્તિભાઈ રાઠોડ(ઉ.વ. 32) અને અન્ય યુવક નાગાભાઈ આગઠ છેલ્લા બે દિવસથી ગુમ હતા. હેતલ રાઠોડ પોરબંદર વન વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે તેમના પતિ પોરબંદરના એક ગામમાં શિક્ષક હતા. બે દિવસ પહેલા હેતલબેન પોતાના પતિ અને રોજમદાર નાગાભાઈ સાથે પ્રાઇવેટ કારમાં બરડા ડુંગર તરફ ગયા હતા. આ પછી તેમના ફોન બંધ આવતાં વન વિભાગ અને પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન તેમની કાર મળી આવી હતી. આ પછી આજે સવારે અલગ અલગ બે સ્થળોએથી આ મૃતદેહો મળી આવ્યા છે. તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે વન વિભાગમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બખલ્લા અને કાટવાણા વચ્ચે તેમની ગાડી મળી આવી હતી. જ્યારે મળતી વિગતો પ્રમાણે હેતલબેન ગર્ભવતી હતા અને તેમનો આઠમો મહિનો ચાલતો હોવાનું જાણવા મળ્યું છે.
તેઓ જ્યાંથી લાપતા થયા હતા, ત્યાં ઊંડો જળપ્રવાહ ન હોવાને કારણે તેઓ પાણીમાં ડૂબ્યા હોવાની શક્યતા નહીવત હોવાની ચર્ચા છે. ત્યારે પોલીસે તેમના મોતનું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. હાલ, ત્રણેયની લાશો પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. પોસ્ટ મોર્ટમ બાદ હત્યાનું કારણ સામે આવશે. ઉલ્લેખનીય છે કે, ત્રણેય લોકો બરડા ડુંગરામાં ગાડી લઇને ગયા હતા તે બાદ ગુમ થયા. ત્યારે વન વિભાગના સ્થાનિક કર્મચારીઓએ ત્રણેયની શોધખોળ કરી હતી પરંતુ મળ્યા ન હતા બે દિવસ બાદ હવે ત્રણેય લોકોના મૃતદેહ જંગલમાંથી મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ ત્રણેયની હત્યા કુહાડીના ઘાથી કરાઇ છે. અને ત્રણ હત્યાઓ પછી પણ વન વિભાગ અને સ્થાનિક પોલીસ વિગતો છૂપાવી રહી છે.