- ગણેશ મહોત્સવની મોબાઈલ એપ બનાવી, સોશિયલ મીડિયાથી પણ લાઇવ કરાશે
કોરોનાને કારણે આ વર્ષે સાર્વજનિક ગણેશ મહોત્સવ થવાના નથી, પરંતુ ગણેશ મહોત્સવનો દર વર્ષ જેવો જ કાર્યક્રમનો લોકો ઘેરબેઠા લહાવો લઇ શકે તે માટે ભારતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રના સૌ પ્રથમ સાર્વજનિક ગણેશ મહોત્સવ ‘ત્રિકોણબાગ કા રાજા’ના આયોજકો દ્વારા ગણેશ દર્શન, પૂજા-આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમો આ વર્ષે ઓનલાઈન કરવાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમો ઓનલાઈન લોકો નિહાળી શકે તે માટે ‘ત્રિકોણબાગ કા રાજા’ મોબાઈલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે જેમાંથી દરરોજના લાઈવ કાર્યક્રમો ભાવિકો ઘેરબેઠા જોઈ શકશે.
11 દિવસ સુધી જુદા-જુદા કાર્યક્રમો યોજાશે
ગણેશ મહોત્સવના ઓનલાઈન આયોજન અંગે આયોજક જિમ્મી અડવાણી જણાવે છે કે, ગણેશજીના ઓનલાઈન દર્શન ઘણા લોકો કરાવે છે પરંતુ દર વર્ષે જે સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે કરીએ છીએ એવા જ તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો આ વર્ષે ઓનલાઈન કરાશે. ભારતમાં પ્રથમ વખત અમે સતત 11 દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમો ઓનલાઈન યોજીશું. દરરોજ સવારે અને સાંજે મહાઆરતી, દર્શન, પૂજન-અર્ચન સહિતના તમામ કાર્યક્રમો ભાવિકોને દરરોજ સાંજે 7થી 11 કલાક સુધી ઓનલાઈન બતાવીશું. ગોબરમાંથી બનાવેલી 9 ઇંચની ગણેશજીની મૂર્તિ આયોજકને ઘેર જ સ્થાપિત કરાશે. જ્યાં લોકોને ભેગા નહીં કરાય.
ક્યા દિવસે ક્યો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
તારીખ | કાર્યક્રમ |
22 ઓગસ્ટ | 108 દીવડાંની મહાઆરતી |
23 ઓગસ્ટ | ગણેશવંદના સંગીતમય કાર્યક્રમ |
24 ઓગસ્ટ | શિવવંદના સંગીતમય કાર્યક્રમ |
25 ઓગસ્ટ | નવદુર્ગા આરાધના કાર્યક્રમ |
26 ઓગસ્ટ | ભવ્ય લોકડાયરો |
27 ઓગસ્ટ | જલારામ બાપાના જયકારા |
28 ઓગસ્ટ | શ્રીનાથજીની ઝાંખી |
29 ઓગસ્ટ | હસાયરો |
30 ઓગસ્ટ | રામનામ કે હીરે મોતી કાર્યક્રમ |
31 ઓગસ્ટ | સત્યનારાયણની કથા સંગીતમય |
1 સપ્ટેમ્બર | પૂર્ણાહુતિ, ઘેર જ ગણેશ વિસર્જન |