રાજકોટ-અમદાવાદ હાઇવે પર વિચિત્ર અકસ્માત:ચોટીલા પાસે ચાલુ કાર પર ડમ્પર પડ્યું, સસરા-જમાઈનાં ઘટનાસ્થળે જ મોત; બે લોકોનો ચમત્કારિક બચાવ

0
10487

રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. ચોટીલા-સાયલા વચ્ચે વણકીના પાટિયા પાસે આજે એક કાર પર કોલસી ભરેલું ડમ્પર પડતાં કારમાં સવાર સસરા-જમાઈનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કાર પર વિશાળ ડમ્પર પડતાં કારનું પડીકું વળી ગયું હતું. ક્રેઈનની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત્
ચોવીસ કલાક સતત ટ્રાફિકથી ધમધમતા રાજકોટ-અમદાવાદ હાઈવે પર જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે સવારના સમયે ચોટીલા અને સાયલા વચ્ચે આવેલા વણકી ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલી એક કાર પર કોલસી ભરેલું ડમ્પર પલટી ખાઈને પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર ચાર લોકોમાંથી સસરા-જમાઈનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

નડિયાદ જઈ રહેલા જામનગરના પરિવારને અકસ્માત નડ્યો
મળતી માહિતી મુજબ, જામનગરનો એક પરિવાર નડિયાદમાં લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો. ત્યારે વણકી ગામના પાટિયા પાસે કાર પહોંચતાં ડમ્પર એના પર પલટી ખાઈને પડ્યું હતું. કારમાં સવાર બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. કારમાં ફસાયેલી એક મહિલા અને એક બાળકને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. બંનેને સારવાર માટે ચોટીલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
હાઈવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં
ચોટીલા-સાયલા હાઇવે પર અકસ્માતની આ ગોઝારી ઘટના બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટનાસ્થળે ઊમટી પડ્યા હતા. હાઇવે પર સર્જાયેલા આ અકસ્માતના પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ચોટીલા પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ટ્રાફિક પુન: ચાલુ કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અકસ્માતની ઘટનાની વધુ તપાસ ચોટીલા પીએસઆઇ ચલાવી રહ્યા છે.