ગુજરાતનું ગૌરવ વધારતી અમૂલ : વિશ્વની ટોપ 20 ડેરીમાં મેળવ્યું સ્થાન : મુખ્યમંત્રીએ પણ આપ્યા અભિનંદન

0
280

રાજ્ય અને દેશના ઘર ઘરમાં પોતાની જગ્યા બનાવી ચૂકેલા અમૂલેવિશ્વમાં પણ પોતાની ઓળખ મજબૂત કરવામાં સફળતા મેળવી લીધી છે. 1946માં ગુજરાતનાં ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર મળે તે માટે શરૂ કરવામાં આવેલો આ પ્રયાસ આજે દુનિયાની ટોપ 20 ડેરી બ્રાંડમાં સામેલ થઇ ગયો છે. રોબોબેંકની  દુનિયાભરની સૌથી મોટી 20 ડેરીની કંપનીઓમાં અમૂલને 16મા સ્થાન સાથે એન્ટ્રી મારી છે. આ યાદી 2019નાં ટર્નઓવરનાં આંકડાઓ પર આધારિત છે. આ ખિતાબ બાદ અમૂલે ગુજરાતના 36 લાખ દૂધ ઉત્પાદકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને અભિનંદન આપ્યા છે.

 ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે અમૂલ બ્રાંડને મેનેજ કરે છે, 5.5 અરબ કરોડ ડોલરનાં ડેરી ટર્નઓવરની સાથે લિસ્ટમાં 16માં સ્થાન પર છે. લિસ્ટમાં પહેલુ સ્થાન સ્વિટ્ઝરલેંડની નેસ્લેનું છે. નેસ્ટલેનું ટર્નઓવર 22.1 અરબ ડોલર છે. જ્યારે ફ્રાંસની Lactalis 21 અરબ ડોલરનાં ટર્નઓવરની સાથે બીજા અને ડેરી ફાર્મર ઓફ અમેરિકા 20 અરબ ડોલરનાં ટર્નઓવરની સાથે ત્રીજા સ્થાન પર છે. આખી લિસ્ટમાં ફ્રાંસની સૌથી વધુ 3 કંપની છે જ્યારે અમેરિકાની 3, ચીન, નેધરલેન્ડ, કેનેડાની 2 -2 કંપનીઓ સામેલ છે.

 આ અંગે અમૂલ દ્વારા પણ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમુલનાં કારણે અનેક પશુપાલકો ન માત્ર પગભર થયા છે, પરંતુ શ્વેતક્રાંતિના કારણે તેઓ આર્થિક રીતે પણ મજબુત બન્યા છે. અમુલ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ અમારી જ નહી પરંતુ લાખો પશુપાલકોને મળેલું ગૌરવ છે. જેમના થકી આજે અમુલ ઉજળું છે.

 આ અંગે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ટ્વીટ કરીને લાખો પશુપાલકો અને અમૂલને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, Rabobank દ્વારા જાહેર કરવામાં આવેલ વિશ્વની ટોચની 20 ડેરી કંપનીઓની યાદીમાં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન 16મા ક્રમે છે જે ભારત અને ગુજરાત માટે ગૌરવની વાત છે. ‘અમૂલ બ્રાન્ડ‘ એ ગુજરાતમાં સર્જાયેલી શ્વેતક્રાંતિનું પ્રતિક છે. ગુજરાતના 36 લાખ દૂધ ઉત્પાદકોને ખૂબ ખૂબ અભિનંદન.

 નોંધનીય છે કે, આજે અમૂલ ડેરીના 16 ડિરેકટરની ચૂંટણી, 1039 મતદારો તમામનું ભાવિ નકકી કરશે. સવારે 9થી 3 વાગ્યા સુધી મતદાન થશે. 12 બ્લોકના મતદારો મતદાન કરશે, હાલમાં ચેરમેન રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર ડિરેકટર તરીકે બિનહરિફ થયા છે, એટલે 14 બેઠક માટે ચૂંટણી યોજાશે.