વાંકાનેર તાલુકાના માટેલ ધરાના પાણીના પ્રવાહમાં ગાયને બચાવવા ત્રણ યુવાનો જતા પાણીના પ્રવાહમાં તણાતા બે યુવાનોને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા. જ્યારે એક યુવાન લાપતા થતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની માટેલ તલાટી મંત્રી દ્વારા વાંકાનેર ખાતેના કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.
સેવા સદન ખાતેના કંટ્રોલ રૂમથી જાણવા મળેલ માહિતી મુજબ આજે સાંજે પાંચ વાગ્યા આસપાસ માટેલ ધરાંથી મચ્છુ ડેમ તરફ જતા પાણીના પ્રવાહમાં એક ગાય તણાતી હોય માટેલ ગામના ત્રણ યુવાનો ધરાના ધસમસતા પ્રવાહમાં પડ્યા હતા. જોકે ગાયનું મોત થયું હતું, જ્યારે ગાયને બચાવવા ગયેલા ત્રણેય યુવાનોમાંથી બે ને સ્થાનિકો દ્વારા રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા હતા. જ્યારે એક યુવાન પાણીના પ્રવાહમાં તણાઈ જતા લાપતા થઈ ગયો હતો.