મંદિરના ચેરમેન હરીજીવન સ્વામી અને કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામી સામે આક્ષેપ કરાયો
- મંદિરનો અન્ય સાંખ્યયોગી મહિલાને ક્લિપ આપી હોવાનો દાવો છે તો ક્લિપ આપી જ ન શકાય: એડવોકેટ માંગુકિયા
ગઢડા સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનનો શૌચક્રિયાના સીસીટીવી ફૂટેજ વાઇરલ કરવા મામલે નવો ખુલાસો થયો છે. ચેરમેન હરિજીવન અને કોઠારી લક્ષ્મીનારાયણદાસજીના કહેવાથી મંદિરના પાર્ષદ અને ટેકેદાર વિપુલ ભગતે વાઇરલ કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે. જોકે પોલીસ તપાસમાં સમગ્ર હકીકત બહાર આવે તેવી શક્યતા છે. સાંખ્યયોગી મહિલાએ મંદિરના ચેરમેન અને કોઠારી સમયે રાજ્ય અને નેશનલ માનવ અધિકાર પંચ અને મહિલા આયોગમાં ફરિયાદ કરી છે. પોલીસ ફરિયાદ ન લેતી હોવાથી મામલો ગૂંચવાય રહ્યો છે.

મંદિર તરફથી નિવેદન આવ્યું છે કે તેઓએ આ કૃત્ય નથી કર્યું
એડવોકેટ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે, ગઢડા સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરીજીવન સ્વામી અને કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામી સામે આક્ષેપ થતાં અમરેલી પોલીસ હરકતમાં આવી છે. તેઓએ મહિલાને પોલીસ સ્ટેશન બોલાવી છે, જોકે નિવેદન લેશે કે ફરિયાદ લેશે તે માહિતી મળી નથી. મંદિર તરફથી નિવેદન આવ્યું છે કે તેઓએ આ કૃત્ય નથી કર્યું. સાંખ્યયોગી મહિલાઓએ અરજી કરી હતી માટે તેમને આ ક્લિપ આપી હતી અને તેઓએ આ ક્લિપ મોકલી છે. જો આ ક્લિપ આપી હોય તો ગુનો કબૂલ કરે છે કારણકે આવી ક્લિપ તેઓ આપી શકે નહીં તેઓ જોઇ પણ શકે નહીં. આ કેસમાં પુરી તપાસ નહિ થાય તેવી આશંકા છે માટે માનવ અધિકાર પંચ અને મહિલા આયોગમાં ફરિયાદ કરી છે જેની કોપી મુખ્યમંત્રી, રાજ્ય પોલીસ વડાને મોકલી આપી છે.
10 વર્ષથી સેવા કરે છે પીડિતા
પત્રકાર પરિષદમાં મહિલાએ કહ્યું હતું કે, હું છેલ્લાં 10 વર્ષથી ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં સાંખ્યયોગી બહેનો સાથે રહી ભગવાન અને ત્યાગી બહેનોની સેવા કરું છું. લક્ષ્મી વાડીમાં આવેલાં મોટાબાના ઓટાવાળી સહિતની જગ્યાએ નાઇટ વિઝન સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. આ કેમેરાઓનુ ડીવીઆર મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી અને કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામીના કબજામાં છે.
વકીલે પોલીસ પર ફરિયાદ ન લેવાનો આરોપ લગાવ્યો
23 ઓગસ્ટે રાત્રે વરસાદી વાતાવરણ હતું. રાત્રે 10 વાગે મોટાબા મંદિરના સંકુલ બહાર આવેલા વાડ પાસે લઘુશંકા કરવા ગઈ હતી. જે ગોપીનાથજી દેવ મંદિર તરફથી મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી. કહેવાતા સંતો હરિજીવન સ્વામી અને કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામીએ અન્ય સાગરિતોની મદદથી ક્લિપ બનાવી સોશિયલ મીડિયામાં વહેતી કરી હતી.’ આ અંગે એડવોકેટ બી.એમ. મંગુકિયાએ જણાવ્યું હતું કે, પોલીસ ફરિયાદ નોંધતી નથી. આથી મહિલા આયોગ, માનવ અધિકાર પંચ, ગૃહમંત્રી સહિત વિવિધ જગ્યાએ અરજી કરીશું.
રાજકારણ અને સત્તાના કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ
ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં મોટીબાનું મંદિર આવેલું છે જેમાં સાંખ્યયોગી મહિલાઓ રહે છે અને સેવા પૂજા કરે છે. સાંખ્યયોગી મહિલાએ આક્ષેપ કર્યો છેકે, ગઢડા મંદિર લાગણી સાથે જોડાયેલું છે. મોટી બાની સેવા કરું છું. 23 ઓગસ્ટના રોજ આ ઘટના બની હતી અને 25મીએ આ ફૂટેજ વાઇરલ કરવામાં આવ્યો છે. હું શૌચ કરવા ગઈ ત્યારે સીસીટીવી ફૂટેજમાં આખી ક્રિયા કેદ થઈ અને તેના ફૂટેજ વાઇરલ કરવામાં આવ્યા છે. રાજકારણ અને સત્તાના કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલમાં મારો વીડિયો સામે આવ્યો છે, અગાઉના વીડિયો પણ હોઈ શકે છે. સીસીટીવી ફુટેજનું કંટ્રોલ કોઠારી સ્વામી જોડે હોય છે.