કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવાના પ્રયાસો વધુ સતેજ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી અધિકારીઓ અને કર્મચારીઓની બનેલી કુલ ૧૨૦૦થી વધુ ટીમોને શહેરમાં ઉતારવામાં આવી છે. આ ટીમો ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરી રહી છે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, આ ટીમો દ્વારા દરેક વોર્ડને આવરી લેવામાં આવી રહયા છે. દરેક વોર્ડમાં આ ટીમો ઘેર ઘેર જઈને સર્વે કરી રહી છે. જે તે ઘરમાં કેટલા સદસ્યો રહે છે અને તેમાં ૬૦ વર્ષથી મોટા અને ૧૦ વર્ષથી નાની ઉમરના કેટલા સભ્યોની તેની માહિતી પણ મેળવે છે. ઘરમાં કોઈને શરદી કે તાવ, કે ઉધરસ કે પછે અન્ય કોઈ મોટી બીમારી છે કે કેમ તેની જાણકારી પ્રાપ્ત કરે છે.
આ ટીમો દ્વારા થતા સર્વેલન્સની માહિતીના આધારે રાજકોટ મહાનગરપાલિકા જે તે ઘરમાં કોરોના હોવાની શંકા દર્શાવતા સામાન્ય લક્ષણ દેખાયા હોય તો તે સભ્યના ટેસ્ટ હાથ ધરે છે. મનપા દ્વારા તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલા કુલ ૩૬ ટેસ્ટીંગ વ્હીકલ દરેક વોર્ડમાં ટેસ્ટની કામગીરી કરે છે. ૩૬ ટેસ્ટીંગ વ્હીકલ ઉપરાંત આરોગ્ય કેન્દ્રો, ૧૦૪ સેવા રથ અને ધનવંતરી રથ દ્વારા પણ ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે.
આ ટેસ્ટમાં જો સેમ્પલ પોઝિટિવ આવે તો તે દર્દીને આવશ્યકતા મુજબની વધુ સારવાર મળે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. જેમાં સામાન્ય લક્ષણ હોય તો અને ઘરમાં જરૂરી સુવિધા હોય તો તેને હોમ આઈસોલેશન સારવાર આપવામાં આવે છે. જો ઘેર સુવિધા ના હોય તો તેને સરકારી ફેસીલીટી સમરસ હોસ્ટેલ ખાતે તેમણે અઈસોલેશનમાં રાખવામાં આવે છે. જો દર્દીને વધુ સારવારની આવશ્યકતા જણાય તો જ તેને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે.
આ સર્વેલન્સની કામગીરીમાં શહેરની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના શિક્ષકોનો ખુબ મોટો ફાળો મળ્યો છે. જેમાં દરેક શિક્ષકે ૧૦ ઘરની જવાબદારી ઉઠાવી છે.
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય કેન્દ્રોની ઓ.પી.ડી., સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી., ઉપરાંત ૧૦૪ સેવા રથ, ૧૦૮ અને પ્રાઈવેટ તબીબો પાસેથી ઇન્ફેક્શન ધરાવતા વ્યક્તિઓની માહિતી મેળવવામાં આવી રહી છે.