સુરતની માઠી બેઠી છે. તેની માથે મોત ભમે છે. એક પછી એક વેપારીઓ જીવન ટુંકાવી રહ્યા છે. કોરોનાની મહામારીને કારણે ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે ત્યારે આજે વધુ એક મૃતદેહ સવાલ બનીને ઉભો છે.
- જલારામ સ્ટોન ક્વોરીના માલિકનો પણ મળ્યો હતો મૃતદેહ
- હજુ પોલીસ તપાસ ચાલુ છે ત્યાં બીજો મૃતદેહ મળ્યો
- દુર્લભ પટેલ આપઘાત કેસમાં મોટા માથાઓ સામે છે ફરિયાદ
- PI સહિત 11 લોકો વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ
સુરતમાં ક્વોરી માલિકના આપઘાતના કેસનું રહસ્ય વધુને વધુ ઘેરાઈ રહ્યું છે. સુરત દુર્લભ પટેલ આપઘાત કેસમાં વધુ રહસ્યમય મોત સામે આવ્યું છે. જલારામ સ્ટોન ક્વોરીમાંથી વધુ એક મૃતદેહ મળ્યો છે. સંદિપ ગામીત નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. સંદિપની હત્યા થઈ કે આત્મહત્યા તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આજે પણ રત્નકલાકાર એસો. ના પાટીદાર પ્રમુખે આપઘાત વહોરી લેતા સુરતની માઠી બેઠી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
જલારામ સ્ટોન ક્વોરીના માલિકની પણ મળી હતી લાશ
રાંદેર વિસ્તારમાં ખાતેની એક સોસાયટીમાં રહેલા દુર્લભભાઇ પટેલની સુરતના માંડવીના ખંજરોલી ગામે ક્વોરી આવેલી છે. ખંજરોલી ગામેથી માંડવી ક્વોરી જવાનું કહીને નીકળેલા દુર્લભભાઇ ન પહોંચતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. જો કે આ સમય દરમિયાન ક્વોરી નજીક ખાણ પાસેથી તેમના ચંપલ, મોબાઇલ મળી આવ્યાં.
ઓફીસમાં શોધખોળ કરતાં એક ચિઠ્ઠી મળી આવી
જો કે તેમની જ ક્વોરીની ખાણમાંથી દુર્લભ ભાઇ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ માન્યુ હતું. જો કે પોલીસના ધમાધમાટ વચ્ચે તેમની ઓફીસમાં શોધખોળ કરતાં એક ચિઠ્ઠી મળી આવી હતી.
સ્યુસાઇડ નોટમાં પોલીસ સહિત અનેક લોકોના નામ
સુરતના કરોડપતિ સ્ટોન ક્વોરીના માલિકના આપઘાતના મામલે રાંદેર પોલીસ સ્ટેશનના PI સહિત 11 સામે ફરિયાદ નોંધાઇ છે. PI લક્ષ્મણસિંહ બોડાણા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસ સ્ટેશન રાઇટર સામે પણ ફરિયાદ દાખલ કરાઇ છે. અડાજણ જમીન વિવાદને લઇ દુર્લભ પટલે આપઘાત કર્યો હતો. સ્યુસાઇડ નોટમાં પોલીસ સહિત અનેક લોકોના નામ છે.
માંડવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ક્વોરી માલિક દુર્લભભાઇ પટેલે માંડવીના ખંજરોલી ગામે પોતાની જ ખીણમાં કુદી આત્મહત્યા કરી હતી. અડાજણમાં જમીનના સોદામાં રાંદેર પોલીસ સ્ટેશનના PI તેમજ પોલીસ સ્ટાફ સહિત કેટલાક ભૂમાફિયાઓ તેમને ધમકી આપતા હતા.
આ 11 લોકો સામે નોંધાયો ગુનો
- લક્ષ્મણસિંહ બોડાણા (PI),
- કિરણસિંહ (રાઈટર),
- રાજુભાઈ લાખાભાઈ ભરવાડ (લસકાણા),
- હેતલ દેસાઈ (વેસુ),
- ભાવેશ કરમસિંહ સવાણી (કતારગામ),
- કનૈયાલાલ નરોલા (કતારગામ),
- કિશોર ભુરાભાઈ કોશિયા (અઠવા),
- વિજય શિંદે,
- મુકેશ કુલકર્ણી,
- અજય બોપાલા,
- રાંદેર પોલીસનો અન્ય સ્ટાફ