નિવૃત થયા બાદ પુણેમાં ફસાયેલ આર્મી જવાનોની સરકારને પુકાર : અમને ઘરે પહોંચાડો, પરીવાર ચિંતામાં છે
તા.૨૭, પુના,મહારાષ્ટ્ર: સમગ્ર દેશ જ્યારે કોરોનાની આ વિકટ મહામારી સામે લડી રહ્યો છે ત્યારે ફ્રન્ટ લાઈનમાં કામ કરતા તબીબો, મેડીકલ સ્ટાફ તથા પોલીસ સહીતનાં વિભાગના લોકોને ભારતભરમાંથી સન્માન મળી રહ્યું છે.
પરંતુ જેઓ આપણા ભારત દેશને કાયમી દુશ્મનોથી સુરક્ષિત રાખે છે તેવા આપના માજી સૈનિકો અત્યારે ફસાયા હોવાની માહિતી ન્યુઝ અપડેટ્સ મિડીયાને મળી હતી. વિગતે વાત કરીએ તો, સમગ્ર ભારતના જુદા-જુદા વિસ્તારો જેવા કે, જમ્મુ-કાશ્મીર, લેહ, આસામ, પુણે, ભુજ આ બધી જગ્યાએથી સેનાની ફરજમાંથી નિવૃત્તિ મેળવીને આવેલા અંદાજીત ૧૬ જેટલા સિપાઈઓ પોતાની નિવૃત્તિ બાદ પુણે ખાતે પોતાના પેન્શન અર્થેના વહીવટી કામે ગયા હતા એ સમયે સમગ્ર ભારતમાં લોકડાઉન લાદવામાં આવતા આ ૧૬ જેટલા માજી સૈનિકો પુણે ખાતે ફસાયા છે જ્યારે ૩૧,માર્ચ,૨૦૨૦નાં જ દિવસે સમગ્ર ભારતમાં નિવૃત થયેલા અનેક માજી સૈનિકો પોતાના ઘરે પહોંચી ગયા છે.

ઉલ્લખનીય છે કે, આ ૧૬ પૈકીના તમામ માજી સૈનિકો ગુજરાતનાં અલગ-અલગ ૬ જિલ્લાઓમાં પોતાના વતન ખાતે પરત આવવા માટે સરકારને છેલ્લાં ૧૫ દિવસથી આજીજી કરી રહ્યા છે અને કરગરી રહ્યા છે પરંતુ ન્યુઝ અપડેટ્સ મિડીયા સાથેની વાતચિતમાં આ સૈનિકોએ જણાવ્યું હતું કે, અમોએ ગુજરાતનાં મુખ્યમંત્રી તથા જે-તે જીલ્લાનાં કલેકટરને પોતાને પુણેથી વતન પરત ફરવા માટે પરવાનગી પાસ આપવા બાબતે અરજીઓ કરી હતી પરંતુ જીલ્લા કલેકટરે આ અરજીઓ રદ કરી નાખી છે અને વતન આવવા માટે પુણે (મહારાષ્ટ્ર)નાં પ્રશાસન પાસે અરજી કરીને પરવાનગી પાસ મેળવવાનું જણાવ્યું છેમહત્વની વાત કહી શકાય કે, જ્યારે આ માજી સૈનિકોએ મહારાષ્ટ્ર રાજ્યના ડીજીપી સહિતના પ્રશાસન પાસે પરવાનગી માંગવા માટે અરજી કરી ત્યારે તેઓ દ્વારા ગુજરાતનાં તમારા જે તે જીલ્લામાંથી કલેકટર દ્વારા તમને પરવાનગી મળી શકે તેવું જણાવી તમામ અરજીઓને રદ કરી નાખવામાં આવી હતી.

આ ઉપરાંત આ માજી સૈનિકોએ અનેક જગ્યાએ પોતાને વતન પરત ફરવા માટે અરજીઓ કરેલી છે પરંતુ અંતે આ તમામ ૧૬ માજી સૈનિકો હતાશ થઈને હવે ગુજરાત સરકાર તરફથી અથવા ભારત સરકાર તરફથી કોઈ મદદ મળે તેની રાહ જોઈ રહ્યા છે.
નોંધ: આ માજી સૈનિક ગ્રુપનો સંપર્ક કરવા માટે નરેશભાઈ વિરડીયા નો મો.નો.૯૩૨૮૩૫૯૫૫૫ પર સંપર્ક કરવો.