રાજકોટ સિવિલમાં ઓક્સિજનની અછત ન પડે તે માટે 20 હજાર લિટરની વધુ એક ટેન્ક મૂકાશે, કોરોના વિભાગ રોજ 4 વખત સેનેટાઈઝ થાય છે

0
228
  • રાજકોટમાં કોરોના સંક્રમણ ખુબ જ વધી રહ્યું છે
  • રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 5 હજાર નજીક પહોંચી

રાજકોટમાં કોરોના સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. તેવા સમયમાં રાજકોટની સિવિલમાં ઓક્સિજનની અછત ન પડે તે માટે 20 હજાર લિટરની વધુ એક ટેન્ક મૂકવામાં આવશે. જો કે હાલમાં પીડીયુ હોસ્પિટલમાં 11 હજાર લિટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક અને 950 લિટરની 4 ટેન્ક ઉપલબ્ધ છે. તેમ છતાં અછત ન પડે તે માટે વધુ એક ટેન્ક મૂકવામાં આવશે. બીજી તરફ સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગને 4 વખત સેનેટાઈઝ કરવામાં આવે છે. જેથી કોરોનાનો ચેપ એકબીજાને ન લાગે.

સમગ્ર હોસ્પિટલને 4 વખત સેનેટાઈઝ કરવામાં આવે છે
કોરોના સંક્ર્મણ અટકાવવા માટે અને સિવિલને જતું મુક્ત રાખવા માટે દરરોજ સ્પ્રે કરવામાં આવે છે. હોસ્પિટલને જતું મુક્ત રાખવા વહેલી સવારે પહેલો રાઉન્ડ શરૂ થાય છે. PPE કિટ, હેન્ડ ગ્લોઝ, માસ્ક સહિતનાં પ્રોટેક્શન સાથે સ્પ્રે વડે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. કોવિડ બિલ્ડિંગના તમામ માળ, વોર્ડ, ઓફિસ, લોબી તેમજ બધી જ લિફ્ટને સ્પ્રે કરી ડિસઈન્ફેક્ટ કરે છે. સફાઈ કામગીરી કરતા ડાયાભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ મહિનાથી દિવસમાં 4 વાર સમગ્ર હોસ્પિટલને સેનેટાઈઝ કરૂ છું. કોરોના વોર્ડમાંથી આવન જાવન કરતા સ્ટાફની PPE કિટ પર જો કોઈ જંતુઓ બહાર આવ્યા હોય તો તે મરી જાય છે. જેથી અન્ય લોકોને ચેપ લાગે નહીં. વળી દર્દીઓને લિફ્ટમાં લઈ જવામાં આવતા હોવાથી લિફ્ટ, સ્ટ્રેચર અને એમ્બ્યુલન્સને પણ રોજ સેનેટાઈઝ કરીએ છીએ.

ઓક્સિજનની અછત ન પડે તે માટે વધુ એક ટેન્ક મૂકાશે
સિવિલના નોડલ ઓફિસર ડો.જે.કે.નથવાણીએ જણાવ્યું હતું કે રાજકોટ પીડીયુ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. પણ અછત ન પડે તે માટે 20 હજાર લિટરની વધુ એક ટેન્ક કોવિડ હોસ્પિટલમાં મૂકવામાં આવશે. ઘણા લોકોને શ્વાસ લેવા સંબંધી તકલીફો જોવા મળી રહી છે. ત્યારે આ સ્થિતિમાં કૃત્રિમ રીતે એટલે સીધુ ઓક્સિજન કે વેન્ટીલેટર પર રાખવાની જરૂરિયાત ઉભી થતી હોય છે. પીડીયુ હોસ્પિટલ ખાતે 11 હજાર લિટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક અને 950 લિટરની 4 ટેન્ક ઉપલબ્ધ છે. ઉપરાંત ટૂંક સમયમાં 20 હજાર લિટરની વધુ એક ટેન્ક ઈન્સ્ટોલ કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે ઓક્સિજનની સપ્લાય બે પ્રકારે કરવામાં આવતી હોય છે. એક પ્રવાહી અને બીજુ વાયુ સ્વરૂપે. લિક્વિડ ઓક્સિજનને સીધુ ઉપયોગમાં લઈ શકાતું નથી, પણ તેને વેપોરાઈઝર મશીનના માધ્યમથી વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કર્યા બાદ કોવિડ હોસ્પિટલના દરેક વોર્ડમાં પાઈપ લાઈન મારફતે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સપ્લાય કરવામાં આવે છે.