રાજકોટનાં જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલને વાહન વ્યવહાર માટે જોખમી જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અનેક અંતરાયો પાર કરીને મનપા દ્વારા ચૂંટણીની આચારસંહિતા પૂર્વે નવા ફોરલેન બ્રિજ માટેનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરાવ્યું હતું. એપ્રિલ સુધીમાં નવા બ્રિજ માટેની કામગીરી શરૂ કરવામાં આવે તેવું જાહેર કરાયું હતું. જોકે ડાયવર્ઝનનું કામ હજુ બાકી છે. ત્યાં આખો ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ કામગીરી એપ્રિલનાં અંત સુધીમાં પૂર્ણ કર્યા બાદ હવે મે મહિનામાં જૂનો પુલ તોડવાનું શરૂ કરાશે.
![](https://ekkhabar.online/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-13-at-5.53.02-PM.jpeg)
હાલ ડાયવર્ઝન રોડની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ડાયવર્ઝન માટે આપવામાં આવેલો આખો રસ્તો ડામર રોડ કરવાનો હોવાથી આ મહિનાનાં અંત સુધીમાં કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા છે. ડાયવર્ઝન રોડની કામગીરી પુર્ણ થયા બાદ પુલ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરીને ત્યાર બાદ મે મહિનાથી પુલ તોડવાની કામગીરી કરવામાં આવશે. આ પહેલા પોલીસ તંત્રને જાણ કરવામાં આવશે અને પોલીસ કમિશનર દ્વારા આ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે.
સાંઢીયા પુલને તોડીને નવો ફોરલેન બ્રિજ બનાવવા માટે રૂ. 62 કરોડનો ખર્ચ મંજુર કરાયો છે. કોન્ટ્રાક્ટ ફાઇનલ થયો તે પૂર્વે લાંબા સમયથી આ બ્રિજના વૈકલ્પિક રસ્તા, ડાયવર્ઝન, કપાત સહિતની કાર્યવાહી મનપા કરતી હતી. અનેક અડચણો હતી જે હવે દુર થઇ છે. ભૂમિપૂજન થયા બાદ હવે ડાયવર્ઝનનો ડામર રોડ ઝડપથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. રાજકોટનો આ પહેલો એવો બ્રિજ છે કે જેમાં જુનો પુરેપુરો પુલ ડિસ્મેન્ટલ કરવાનો છે. જુનો પુલ તોડીને નવો બનાવવામાં આવતો હોય તેવો આ પહેલો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનું કામ બે વર્ષ ચાલે તેમ છે.
![](https://ekkhabar.online/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-13-at-5.52.32-PM.jpeg)
ઉલ્લેખનીય છે કે, હવે આ જુનો પુલ તોડવાનું કામ પહેલા હાથ પર લેવાનું હોય, મે માસમાં પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. મનપા ફાઇનલ તારીખ આપે તે બાદ પોલીસ કમિશનર આ માટેનું જાહેરનામું બહાર પાડશે. બે વર્ષમાં નવો બ્રિજ બનશે. જેની કુલ લંબાઈ 600 મીટર, સિવિલ હોસ્પિટલ સાઇડ 298, માધાપર સાઇડ 268, ઉપરાંત વચ્ચે 36 મીટરનો રહેશે. કુલ 16.40 મીટર એટલે કે 54 ફુટનો બ્રિજ બનશે. બ્રિજમાં 20 પીલર અને 22 સ્પામ બનાવવામાં આવનાર છે.