News Updates
INTERNATIONAL

પાકિસ્તાનમાં નવું નાટક:સુપ્રીમ કોર્ટે કહ્યું એક કલાકમાં ઇમરાન ખાનને અહીં હાજર કરો, કોર્ટમાંથી કઇ રીતે તમે ઉઠાવી ગયા?

Spread the love

ઈમરાનની પાર્ટીના નેતાઓ મેહમૂદ કુરેશી, ફવાદ ચૌધરીની ધરપકડ; અત્યાર સુધીમાં 8નાં મોત

અલ કાદિર ટ્રસ્ટ કૌભાંડમાં પૂર્વ પાકિસ્તાની PM ઈમરાન ખાનની ધરપકડ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. ઈમરાનની પાર્ટી PTIની અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું છે કે, ખાનને એક કલાકમાં અમારી સામે રજૂ કરો. તમે કોઈને કોર્ટમાંથી કેવી રીતે ઉઠાવીને લઈ જઈ શકો. આ કોર્ટનું અપમાન છે. બાકીની સુનાવણી પછી થશે.

બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસા વધી રહી છે. સિંધ પ્રાંત સિવાય પંજાબ, ખૈબર પખ્તુનવા અને બલૂચિસ્તાનમાં સેના તહેનાત કરવામાં આવી છે. દરમિયાન, પીટીઆઈ નેતા શાહ મેહમૂદ કુરેશીની ગુરુવારે સવારે અને ફવાદ ચૌધરીની મોડીરાત્રે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અત્યાર સુધીમાં ઇમરાનની પાર્ટીના લગભગ 1900 નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી છે.

9 મેના રોજ ઈમરાનની ધરપકડ બાદ ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયાં છે. ઘટનામાં 290 લોકો ઘાયલ થયા છે. બુધવારે ઈમરાન ખાનને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB)ને 8 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. સેનાએ હિંસા પર પ્રથમ સત્તાવાર પ્રતિક્રિયા આપી હતી. કહ્યું, ‘9 મેના દિવસને પાકિસ્તાનના ઈતિહાસમાં કાળા અધ્યાય તરીકે જોવામાં આવશે.’

છેલ્લા 24 કલાકના 6 મોટા અપડેટ…

  • પીટીઆઈના સમર્થકોએ પેશાવરમાં ચૂંટણી પંચની ઓફિસ પર પણ હુમલો કર્યો હતો. હિંસા વચ્ચે ચાંગ વિસ્તારમાં પરમાણુ કેન્દ્ર પર કમાન્ડો તૈનાત છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં એક મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે.
  • ઈમરાનની ધરપકડને લઈને લંડનમાં વિરોધ પ્રદર્શન પર બ્રિટિશ પીએમ ઋષિ સુનકે કહ્યું- આ પાકિસ્તાનનો પોતાનો મામલો છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.
  • પીએમ શાહબાઝ શરીફે કહ્યું- ઈમરાન અને પીટીઆઈએ દેશને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આતંકવાદીઓની જેમ લશ્કરી મથકો પર હુમલો કર્યો. 75 વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી.
  • ઈમરાન NABની કામચલાઉ કોર્ટમાં હાજર થયો હતો. કોર્ટે ખાનને 8 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. તોશાખાના કેસમાં પણ પૂર્વ પાક પીએમ સામે આરોપો ઘડવામાં આવ્યા હતા.
  • સેનાએ કહ્યું- હુમલા એક ષડ્યંત્ર હેઠળ થઈ રહ્યા છે. સેનાને દેશદ્રોહી કહેવામાં આવી રહી છે. અમે ગુનેગારોની ઓળખ કરી લીધી છે. કેટલાક લોકો ગૃહયુદ્ધ ઇચ્છે છે, તેમને યોગ્ય જવાબ આપશે.
  • વિદેશી દૂતાવાસોના કર્મચારીઓને બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે. દેશમાં ઈન્ટરનેટ બંધ છે. શાળા-કોલેજો બે દિવસ માટે બંધ છે.

લાહોરમાં શાહબાઝ શરીફના ઘર પર હુમલો થયો
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, બુધવારે ઈમરાન ખાનના સમર્થકોએ લાહોરમાં પીએમ શાહબાઝ શરીફના ઘર પર હુમલો કર્યો હતો. 500થી વધુ પ્રદર્શનકારીઓએ શરીફના ઘરની બહાર પાર્ક કરેલાં વાહનોને આગ ચાંપી દીધી હતી. તેમજ ઘર પર પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા હતા. બાદમાં જ્યારે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ત્યાં પહોંચ્યા તો પ્રદર્શનકારીઓ ભાગી ગયા. જોકે, પાકિસ્તાન સરકારે આ હુમલાની પુષ્ટિ કરી નથી.

શું છે અલ-કાદિર ટ્રસ્ટ કેસ
સરકારના કહેવા પ્રમાણે, જ્યારે ઈમરાન વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે જમીન માફિયા મલિક રિયાઝને મની લોન્ડરિંગના કેસમાં ફસાવ્યો હતો. લંડનમાં તેના 40 અબજ જપ્ત કર્યા. બાદમાં બ્રિટિશ સરકાર દ્વારા આ નાણાં પાકિસ્તાનને સોંપવામાં આવ્યાં હતાં. ઈમરાને આ માહિતી કેબિનેટને પણ નથી આપી.

આ પછી ઈમરાને અલ કાદિર ટ્રસ્ટની રચના કરી. તેણે ધાર્મિક શિક્ષણ આપવા માટે અલ કાદિર યુનિવર્સિટીની રચના કરી. આ માટે મલિક રિયાઝે અબજો રૂપિયાની જમીન આપી હતી. બુશરા બીબીને હીરાની વીંટી પણ ભેટમાં આપી હતી. તેના બદલામાં રિયાઝના તમામ કેસ પડતા મૂકવામાં આવ્યા હતા. તેને કરોડો રૂપિયાના સરકારી કોન્ટ્રાક્ટ પણ મળ્યા હતા.

ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું- સરકારી તિજોરીને 60 અબજ રૂપિયાનો ફટકો પડ્યો. 13 મહિનામાં એકપણ વાર ઈમરાન કે બુશરા પૂછપરછ માટે આવ્યાં નથી. 4 વર્ષ પછી પણ આ યુનિવર્સિટીમાં માત્ર 32 વિદ્યાર્થીઓ છે.


Spread the love

Related posts

PM મોદીની ફ્રાન્સ મુલાકાતનો પહેલો દિવસ:બાઈડેન પછી હવે રાષ્ટ્રપતિ મેક્રોન પ્રાઈવેટ ડિનર હોસ્ટ કરશે; નેવી માટે 26 રાફેલ ફાઈટર જેટ આવશે

Team News Updates

News9 Global Summit:ઉદ્યોગ જગતના દિગ્ગજોએ જણાવ્યું, કેવી રીતે ‘કાર્બન ફ્રી’ બનશે વિશ્વ

Team News Updates

અદાણીના પણ 6700 કરોડ ચૂકવવા પડશે:બાંગ્લાદેશ પાસેથી 5300 કરોડ વ્યાજ માગ્યું રશિયાએ ;15 સપ્ટેમ્બર સુધી સમય આપ્યો

Team News Updates