News Updates
SAURASHTRA

પિતાનું વહાલ મોતનું કારણ બન્યું:લિંબાયતમાં ત્રણ માસની પુત્રીને પિતાએ રમાડતાં રમાડતાં હવામાં ઉછાળતાં પંખા સાથે ટકરાઈ, બાળકીના મોતથી પરિવારમાં શોક

Spread the love

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સામાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં લિંબાયતમાં ઘરમાં ત્રણ મહિનાની બાળકીને પિતા ઉછાળીને રમાડી રહ્યા હતા. એ સમયે તેને માથામાં પંખાની પાંખ વાગતાં ગંભીર ઈજા પહોંચી હતી. એ બાદ પરિવાર બાળકીને જુદી જુદી ત્રણ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતા. બાળકીને રમાડવાનો હરખનો માહોલ પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાને પગલે લિંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ત્રણ માસની દીકરીને પંખાની પાંખ વાગી
સુરતના લિંબાયત વિસ્તારમાંથી ખૂબ જ વિચિત્ર અને અરેરાટી ઊપજાવે એવી ઘટના બનવા પામી છે, જેમાં ખાનપુર ખાતે ભાડાના મકાનમાં રહેતા મસરુદ્દીન શાહ મજૂરીકામ કરી ત્રણ પુત્રી, એક પુત્ર તેમજ પત્નીનું ભરણપોષણ કરે છે. શ્રમજીવી મસરુદ્દીનને ત્રણ મહિના પહેલાં જ ઝોયા નામની ત્રીજી દીકરીનો જ્ન્મ થયો હતો. તેઓ 13મી મેના રોજ સવારે સૌથી નાની પુત્રી ઝોયાને ઘરમાં રમાડી રહ્યા હતા. પિતા પોતાની લાડકવાયી પુત્રીને વહાલ કરવામાં ખૂબ જ હરખમાં આવી ગયા હતા અને આ હરખમાં રમાડતાં રમાડતાં તેમણે પુત્રીને અચાનક હવામાં ઉછાળી હતી. એમાં છતના ચાલુ પંખાની પાંખની ધાર માથામાં વાગતાં માસૂમ ઝોયા ત્યાં જ ફસડાઈ પડી હતી. પુત્રીને માથામાં થયેલી ગંભીર ઇજા જોઈ માતા-પિતા સહિતના પરિવારના સભ્યોએ રડારોળ કરી મૂકી હતી. એ બાદ તેમણે તાત્કાલિક પુત્રીને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડી હતી.

જુદી જુદી ત્રણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ
પ્રથમ પરિવાર દ્વારા તાત્કાલિક ઝોયાને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં તેને યોગ્ય સારવાર ન મળતી હોવાનું લાગતાં ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. એ બાદ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે તેને લાવવામાં હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. બાળકીને સિવિલમાં લાવવામાં આવી ત્યારે તેની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. ઝોયાને બચાવવા માટે સિવિલના ડોક્ટરોએ ખૂબ જ મહેનત કરી હતી, પણ જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલી ત્રણ માસની બાળકીએ દમ તોડી દીધો હતો.

ડોક્ટરોએ પુત્રીની સારવારનો ખૂબ જ મોટો ખર્ચો કહ્યો હતો
આ દુર્ઘટના અંગે બાળકીના પિતાએ જણાવ્યું હતું કે રમાડતાં રમાડતાં પંખામાં બાળકી અડી ગઈ હતી. એને લઇ સારવાર માટે તાત્કાલિક ફીમેલ મેડિકલ કોલેજ લઈ ગયા અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેની સારવારનો ખૂબ જ મોટો ખર્ચો કહ્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ કહ્યું હતું કે ગમે એટલો ખર્ચો કરાવશો, પણ બાળકીનું બચવું ખૂબ જ મુશ્કેલ છે.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
બાળકીનું સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજતાં બનાવની જાણ લિંબાયત પોલીસને કરાઈ હતી. આ બનાવ અંગે લિંબાયત પોલીસને અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી હતી.


Spread the love

Related posts

BREAKING યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના:માચી ખાતે આવેલ વિશ્રામસ્થળનો ધુમ્મટ તૂટતા 8થી વધુ શ્રદ્ધાળુઓ દબાયા,એકનું મોત; સ્થાનિકો અને તંત્ર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું

Team News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સેનેટ સભ્યોની ચૂંટણી જાહેર કરી, 5 જિલ્લાઓમાં થશે મતદાન પ્રક્રિયા

Team News Updates

હજુ ત્રણ દિવસ વરસાદી સંકટ યથાવત રહેશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે