News Updates
GUJARAT

રાજકોટની સોનીબજારમાંથી પકડાયું આતંકી મોડ્યૂલ:બંગાળના 3 શખસ અલકાયદાનો પ્રચાર કરતા, ગુજરાત ATSના 3 અધિકારીએ વેશ પલટો કરી ત્રણેયને ઝડપ્યા

Spread the love

ગુજરાતમાં ફરી એક વખત આતંકી મોડ્યૂલ એક્ટિવ થયું હોવાની વિગતો સામે આવી રહી છે. રાજકોટની સોનીબજારની અંદર ત્રણ વ્યક્તિ આતંકી સંગઠન અલકાયદાને મદદ કરવા માટે સક્રિય થઈ હતી. આ અંગેની માહિતી ગુજરાત એટીએસને મળી હતી, આથી ગત મોડી રાતે ઓપરેશન કરીને ત્રણ આરોપીને ગુજરાત એટીએસે ઝડપી લીધા છે. આ તમામ આરોપીઓ આતંકી સંગઠન અલકાયદા માટે ફંડિંગ અને સ્લીપર સેલને સપોર્ટ કરવા માટે એક્ટિવ થયાં હતાં. ગુજરાત એટીએસએ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝને રાજકોટમાંથી પકડ્યા છે.

ખત્રીવાડના શ્રીકૃષ્ણ કુંજમાં એક આતંકી રહેતો
ખત્રીવાડમાં આવેલ શ્રીકૃષ્ણ કુંજમાં એક આતંકી રહેતો હતો, સૈફ નવાઝ અને તેની સાથે રહેલા વધુ એક વ્યક્તિને પણ એટીએસ ઉઠાવી ગઈ છે. જુમ્મા મસ્જિદ ચોકમાંથી પણ શંકાસ્પદ ગણાતા 8થી વધુ લોકો ATSએ ઉઠાવ્યા છે. સત્તાવાર કેટલા લોકોની ધરપકડ થશે તે માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેર કરવામાં આવશે. 6થી 7 મહિનાથી સૈફ જુમ્મા મસ્જિદ પાસેના મકાનમાં ભાડે રહેતો હતો. શ્રીકૃષ્ણ કુંજમાં બહાર અને અંદર સીસીટીવી ફીટ થયેલા છે. આથી તેની ગતિવિધિ સીસીટીવીમાં કેદ થઈ હોય તેવું પોલીસ તપાસ બાદ બહાર આવી શકે છે.

મોબાઈલ ચેક કરી તાત્કાલિક ઉઠાવી લઇ ગયા
ગુજરાત ATS એ રાજકોટની સોની બજારમાં આવેલા JP ટાવર પાસે ત્રીજા માળે ગુબીલ મેનસોન નામની ચેમ્બરમાંથી બે શખ્સોની અટકાયત કરી છે. જેમાં કાજી આલોંગીર અને તેમના સાળા આકાશની અટકાયત કરવામાં આવી છે. જેઓ મૂળ પશ્ચિમ બંગાળના વતની છે. ATSના ત્રણ પોલીસ અધિકારીઓ વેશપલટો કરી આવી અને કાજી આલોંગીરને મોબાઈલ ફોનમાં ફોટો બતાવી આમને ઓળખો છો તેવું પૂછી તેમના મોબાઈલ ચેક કરી તાત્કાલિક ઉઠાવી લઇ ગયા હતા.

સમયે સમયે નમાજ પઢતો, કુરાન વાંચતો
જે ચેમ્બરમાંથી બે આરોપીની અટકાયત કરી તેમની સાથે કામ કરતા અન્ય બંગાળી કારીગરે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, શેઠ પાંચ છ વર્ષથી હું ઓળખું છું, બોવ સારો માણસ છે, આજુબાજુમાં કોઈને પણ તમે પૂછી શકો છો, બધા એવું જ કહેશે કે સારો માણસ છે. સવારથી પોતાનું કામ કરતો હતો અને સમયે સમયે નમાજ પઢતો, કુરાન વાંચતો હતો. કોઈ તેમને મળવા આવ્યું હોય કે એવું કહી અમારા ધ્યાનમાં નથી. પોલીસે આવી તેમને મોબાઈલમાં ફોટા બતાવ્યા આમને ઓળખો છો. તેમ પૂછી બાદમાં અહિયાંથી ગઈકાલે લઇ ગયેલા છે.

ત્રણેય શખસ 9 મહિનાથી રાજકોટમાં રહેતા
ગુજરાત એટીએસએ રાજકોટમાંથી પશ્ચિમ બંગાળના 3 શખસની અટકાયત કરી છે. આ ત્રણેય શખસ છેલ્લા 6થી 9 મહિનાથી રાજકોટમાં રહેતા હતા. આ શખસો અલકાયદા સાથે કનેક્શન ધરાવતા હતા. ત્રણેય શખસ લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. 3 શખસ પાસેથી મળેલું હથિયાર લોકલ વ્યક્તિ પાસેથી ખરીદ્યાની માહિતી સામે આવી છે. હથિયાર સપ્લાય કરનાર કોણ એ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. આજે ત્રણેયને રાજકોટ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.

બાંગ્લાદેશી આતંકી મોડ્યુલ સાથે ત્રણેય એક્ટિવ હતા
બાંગ્લાદેશના આતંકી મોડ્યુલ સાથે કનેક્ટેડ ત્રણ લોકો રાજકોટમાં એક્ટિવ હતા. ગુજરાતી એટીએસએ તેમને ઝડપ્યા ત્યારે તેમના મોબાઈલમાંથી આ મોડ્યૂલની વિચારધારા ફેલાવવા માટેનું સાહિત્ય અને મેસેજ મળી આવ્યા હતા. તાજેતરમાં આ મોડ્યૂલના માસ્ટર માઈન્ડને બાંગ્લાદેશ એન્ટી ટેરેરિસ્ટ ગ્રુપે ઝડપી લીધો હતો. આ મોડ્યૂલ અલકાયદાનું એક નાનું મોડ્યૂલ છે જે ઉત્તરપ્રદેશ અને અલગ અલગ જગ્યાએથી તેના લોકો અગાઉ ઝડપાઈ ચૂક્યા છે.

ત્રણેય રાજકોટમાં ગોલ્ડ પોલિશનું કામ કરતા
બાંગ્લાદેશનો આકા જેવો મેસેજ આપે એટલે તરત જ તેઓ કઈ પણ કરવા તૈયાર હતા. આ માટે તેમણે હથિયાર પોતાની પાસે રાખ્યા હતા. અહીંયા તેઓ ગોલ્ડ પોલિશનું કામ કરતા હતા અને કોઈને શંકા ન જાય તે માટે મજૂરી જેવું કામ કરતા હતા. જ્યારે પડદા પાછળ તેઓ આ મોડેલની વિચારધારા ફેલાવવા માટેનું કામ કરતા હતા. ગુબીલ મેનસોન ખાતે બે શખસની અટકાયત કરી હતી.
કાજી આલોંગીર અને તેમના સાળા આકાશની પણ અટકાયત કરાઈ છે.
જમાતુલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ સાથે જોડાયેલો હતો.

ત્રણેયને અમદાવાદ લવાશે
આરોપીઓ પાસે હથિયાર પણ હોવાની વિગતો સામે આવી રહી છે, આ અંગે ગુજરાત એટીએસ ગુપ્ત રાહે તપાસ પણ કરી રહી હતી અને ચોક્કસ બાતમી મળતા ત્રણેયને પકડીને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્રણેય શખસનો કેસ કોઈ પણ વકીલ લડશે નહીં
રાજકોટ શહેરની સોની બજાર ખાતેથી ATS દ્વારા ત્રણ શખસને ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે તેનો કેસ કોઈ વકીલ લડશે નહીં તેવો નિર્ણય કરાયો છે. આ અંગે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનનાં પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટ કાયમ માટે શાંતિપ્રિય રહ્યું છે. પરંતુ અહીં પણ અલકાયદાએ પગ પેસારો કર્યો હોય તેમ ત્રણ શખશ ઝડપાયા છે. ત્યારે ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આતંકવાદીઓ તરફથી કોઈ પણ વકીલ કેસ લડશે નહીં. આજે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા બાદ રિમાન્ડની માગ કરવામાં આવશે અને આ રિમાન્ડ દરમિયાન જો અન્ય કોઈની સંડોવણી ખુલે તો તેમને પણ ATS દ્વારા ઝડપી લેવામાં આવશે.

હવાલાથી કોઈ ટ્રાન્ઝેક્શન થયું છે કે નહીં એ દિશામાં તપાસ
ગુજરાત એટીએસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજકોટના સોની બજારમાં ત્રણ લોકો આતંકી મોડ્યૂલ માટે મદદ કરતા હતા. જે ઘણા સમયથી વોચમાં ગોઠવાયા બાદ એટીએસને બાતમી મળી અને સોની બજારમાંથી ત્રણ શખસની અટકાયત કરીને પૂછપરછ કરતા તેઓ અલકાયદા માટે કામ કરતા હતા તેવું ખૂલ્યું છે. આ શખસો પાસે ગુજરાતમાં કે અન્ય જગ્યાએ અલકાયદાના સ્લીપર સેલને મદદ કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી, તેમણે હવાલાથી પણ કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની વિગત ગુજરાત એટીએસને મળી છે.

આરોપીઓને અન્ય કઈ જગ્યાએથી મદદ મળી હતી?
ગુજરાતમાં ઘણા સમયથી સ્લીપર સેલમાં ગતિવિધિ ન હતી, પરંતુ ગુજરાત એટીએસએ તેની કડી શોધીને આખા રેકેટનો પડદાફાશ કર્યો છે. આતંકી કઈ જગ્યાએ આતંકી પ્રવૃત્તિ કરવાના હતા અથવા કોઈને મદદ કરી રહ્યા હતા તેની સઘન પૂછપરછ ચાલી રહી છે અને આરોપીઓને અન્ય કઈ જગ્યાએથી મદદ મળી હતી તે અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.


Spread the love

Related posts

“સાહેબ હાંસોટ રોડ પર તળાવમાં તપાસ કરો” નનામા કોલ પછી તરવૈયા ઉતારતા હત્યાકાંડ સામે આવ્યો, વાંચો કરપીણ હત્યાની ચોંકાવનારી હકીકત

Team News Updates

શું તમને તમારા સ્માર્ટફોન પર એલર્ટ મેસેજ મળ્યો હતો?:સરકાર ઇમર્જન્સી એલર્ટનું કરે છે ટ્રાયલ, પૂર અને ભૂકંપ જેવી સ્થિતિ વખતે લોકોને એલર્ટ કરશે

Team News Updates

43 વર્ષથી વૃક્ષો વાવે છે ‘ફોરેસ્ટ મેન ઓફ ઈન્ડિયા’, તૈયાર કર્યું આખું જંગલ

Team News Updates