News Updates
INTERNATIONAL

કેનેડાનાં જંગલોમાં લાગેલી આગના ધુમાડા અમેરિકા સુધી પહોંચ્યા:3 હજાર કિલોમીટર દૂર ધુમાડા પહોંચતાં આશ્ચર્ય, સવા લાખ લોકોએ ઘર છોડ્યું, USમાં એરએલર્ટ

Spread the love

કેનેડાનાં જંગલોમાં અત્યાર સુધીની સૌથી ભીષણ આગ લાગી છે. તેની અસર અહીંનાં લગભગ તમામ 10 પ્રાંતો અને શહેરોમાં જોવા મળી રહી છે. કેનેડાનાં જંગલોમાં લાગેલી આગના ધુમાડાએ ઉત્તર અમેરિકાના મોટા ભાગોને ઘેરી લીધો છે. જેના કારણે મિનેસોટાથી મેસેચ્યુસેટ્સ સુધી એરએલર્ટ જારી કરવામાં આવ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ ઓન્ટારિયોના ઓટાવા અને ટોરોન્ટોના ભાગોમાં ધુમ્મસના સ્તર છવાઈ ગયાં છે. કેનેડિયન અધિકારીઓએ રહેવાસીઓને ખરાબ હવાની ગુણવત્તા અંગે ચેતવણી આપી હતી. ધુમાડાના ગોટેગોટા ન્યૂયોર્ક સ્ટેટ અને વર્મોન્ટના ભાગો સુધી પહોંચી ગયા છે. ધુમાડાને કારણે મંગળવારે ન્યૂયોર્ક શહેરમાં હવાની ગુણવત્તા અંગે ચેતવણી આપવામાં આવી હતી. બપોર સુધીમાં મેનહટનનું આકાશ પણ ધુમાડાથી ભરાઈ ગયું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓગસ્ટ સુધીમાં સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં લગભગ 33 હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર બળી ગયો છે. આ છેલ્લાં 10 વર્ષની સરેરાશ કરતાં 13 ગણો વધુ છે અને બેલ્જિયમના કુલ ક્ષેત્રફળ કરતાં પણ મોટો છે. જેના કારણે 1 લાખ 20 હજારથી વધુ લોકોએ પોતાનાં ઘર છોડવાં પડ્યાં છે.

કેનેડામાં હાલમાં 413 જંગલોમાં આગ લાગી છે, જેમાંથી 249 કેસમાં પરિસ્થિતિ કાબૂ બહાર છે. તેનો ધુમાડો હવે કેનેડા સિવાય અમેરિકાનાં ઘણાં રાજ્યોમાં ફેલાઈ ગયો છે. ન્યૂયોર્ક, મિનેસોટા, ક્વીન્સ અને મેસેચ્યુસેટ્સ માટે એરએલર્ટ જારી કરવામાં આવ્યું છે.

અમેરિકા, મેક્સિકો, ફ્રાન્સ સહિત ઘણા દેશોએ મદદ કરી
યુએસ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સહિતના ઘણા દેશોના એક હજારથી વધુ અગ્નિશામકો મદદ માટે કેનેડામાં હાજર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું- સ્થિતિ લોકો માટે ડરામણી છે. ઘણા લોકોને તેમનાં ઘર છોડવાં પડ્યાં છે. અમે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પીએમ ટ્રુડોએ મદદ કરવા બદલ તમામ દેશોનો આભાર માન્યો છે.

આ પહેલાં કેનેડાના નોવા સ્કોટિયા પ્રાંતનાં જંગલોમાં લાગેલી આગ પર ઘણા હદ સુધી કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અહીં જંગલમાં લાગેલી આગને કારણે 200 ઘર બળીને ખાખ થઈ ગયાં હતાં. તે જ સમયે, લગભગ 16 હજાર લોકોને તેમનાં ઘર છોડવાની ફરજ પડી હતી. ક્વિબેકમાં લગભગ 164 સક્રિય જંગલી આગ છે અને લગભગ 10,000 લોકોએ તેમનાં ઘર છોડી દીધાં છે.

જાણો કેવી રીતે લાગે છે જંગલમાં આગ?
જંગલની આગને કારણે દર વર્ષે 40 લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર બળી જાય છે. આગને સળગવા માટે હીટ, બળતણ અને ઓક્સિજન જરૂરી હોય છે. જંગલમાં ઓક્સિજન માત્ર હવામાં જ હોય છે. ઝાડની સૂકી ડાળીઓ અને પાંદડાં બળતણ તરીકે કામ કરે છે. જ્યારે, એક નાનો તણખો હીટ તરીકે કાર્ય કરી શકે છે.

મોટાભાગની આગ ઉનાળાની ઋતુમાં થાય છે. આ સિઝનમાં, એક નાનો તણખો પણ આખા જંગલને આગમાં પકડવા માટે પૂરતો છે. આ તણખા ઝાડની ડાળીઓને એક-બીજા સાથે ઘર્ષણથી અથવા સૂર્યના પ્રબળ કિરણોને કારણે ઘણી વખત આગ લાગવાનું કારણ બને છે.

ઉનાળામાં ઝાડની ડાળીઓ સુકાઈ જાય છે, જે સરળતાથી આગ પકડી લે છે. એકવાર આગ શરૂ થાય છે, તે પવન દ્વારા ફેલાઈ જાય છે. આ સિવાય કુદરતી રીતે વીજળી પડવાથી, જ્વાળામુખી અને કોલસાના સળગવાને કારણે જંગલમાં આગ લાગી શકે છે. હાલમાં કેનેડામાં આગ લાગવાનું મુખ્ય કારણ તાપમાનમાં વધારો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.


Spread the love

Related posts

ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસા:6નાં મોત, દેશભરમાં ઈન્ટરનેટ બંધ; લાહોરમાં ગવર્નરનું ઘર સળગાવાયું, રાવલપિંડી આર્મી હેડક્વાર્ટરમાં તોડફોડ

Team News Updates

 AI આ રીતે થઈ શકે છે ઉપયોગી ભારતથી જર્મની સુધી કૃષિક્ષેત્રના વિકાસમાં

Team News Updates

પાકિસ્તાનમાં સુસાઇડ એટેક ક્વેટા રેલવે સ્ટેશન પર:14 જવાન,બ્લાસ્ટમાં 24 લોકોનાં મોત

Team News Updates