News Updates
AHMEDABAD

ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડ:મુખ્ય આરોપી સની ચૌધરી, અમિતસિંહની ધરપકડ, નાપાસ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી એક પેપરદીઠ 50 હજાર લેતા, 60 વિદ્યાર્થીને પાસ કરાવ્યા

Spread the love

ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિતસિંહની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ઉત્તરવહીકાંડના અઢી મહિને આરોપીઓ ઝડપાયા છે. આરોપી કાંડ કર્યા બાદ ગુજરાત છોડીને ફરાર થઈ ગયા હતા. અઢી મહિના સુધી ફરાર રહ્યા બાદ આરોપી અમદાવાદ આવ્યા હતા અને ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી છે. આરોપીઓ નાપાસ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી પાસ કરાવવા એક પેપરદીઠ રૂ. 50 હજાર લેતા હતા. આવી રીતે બન્નેએ અત્યારસુધીમાં 60 જેટલા વિદ્યાર્થીઓને પાસ કરાવ્યા છે. અગાઉ યુનિવર્સિટીના કર્મચારી સંજય ડામોરની ધરપકડ થઈ ચૂકી છે.

બન્ને આરોપી વિદ્યાર્થી અને નવાવાડજના રહેવાસી
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે સની ચૌધરી અને અમિતસિંહ બન્ને નવાવાડજના રહેવાસી છે. બન્ને આરોપી વિદ્યાર્થી છે અને ત્રણ વર્ષમાં 60 વિદ્યાર્થી પાસ કરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બન્ને પાસેથી એવું જાણવા મળ્યું છે કે ઉત્તરવહી માટે સ્ટ્રોંગ રૂમ છે, એનો પટાવાળો સંજય ડામોર હતો, તેની સાથે સેટિંગ કરી લગભગ 60 આસપાસ વિદ્યાર્થીઓ સાથે સેટિંગ કરી દરેક પાસેથી 20થી 50 હજાર રૂપિયા લઈ પાસ કરાવ્યા છે. તેમના ઘણા બધા પોલિટિશિયન્સ સાથે ફોટો છે, પણ આ કોઈ ઓફિશિયલ હોદ્દેદાર અને કોઈપણ સ્ટુડન્ટ પક્ષ સાથે જોડાયેલા હોય એવું અત્યારસુધી જોવા મળ્યું નથી.

સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા
ચૈતન્ય માંડલિકે વધુમાં જણાવ્યું હતું કે આ પહેલાં બન્ને NSUI અને ABVP સાથે જોડાયેલા હોવાનો દાવો કરતા હતા, પણ તેઓ કોઈ ઓફિશિયલ હોદ્દેદાર નથી, તેઓ લોકોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા પર હોદ્દા લખતા હતા એવું જાણવા મળ્યું છે. ફેઈલ સ્ટુડન્ટ હતા તેમના નામ જાણ્યા પછી તેમની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરતા હતા.

રી-ટેસ્ટ હોય ત્યારે એક પેસિફિક માર્ક નક્કી કરતા
ચૈતન્ય માંડલિકે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે રિઝલ્ટ આવતું હતું ત્યારે તેઓ જાણી લેતા હતા કે કોણ નાપાસ થયું છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો ઇન્સ્ટાગ્રામની મદદથી કોન્ટેક કરતા હતા. ત્યાર બાદ જ્યારે વિદ્યાર્થી રેડી થઈ જતો કે પૈસા આપીને પાસ થઈ જવા માટે તૈયાર છે, ત્યારે તે વ્હોટ્સએપ-ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેમનો કોન્ટેક કરતા હતા અને જ્યારે રી-ટેસ્ટ હોય ત્યારે એક પેસિફિક માર્ક નક્કી કરતા હતા. પેસિફિક માર્ક ઉત્તરવહી ઉપર કર્યા પછી એ કોરી ઉત્તરવહી સ્ટોર રૂમ ખાતે મોકલી આપવામાં આવતી.

ઉત્તરવહી રાતના સમયે લખી લેતા
તેમણએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે સંજય ડામોર રાતના સમયે માર્કિંગવાળી ઉત્તરવહી અલગ કરીને સની અને અમિતને આપી દેતો હતો અને રાતના સમયે વિદ્યાર્થીને બોલાવી બાઈજીપુરામાં એક કોમ્પ્લેક્સ છે એમાં જઈ ઉત્તરવહી લખાવી લેતા હતા. ત્યાર બાદ વહેલી સવારે ઉત્તરવહી ફરીથી સ્ટોર રૂમમાં રાખી પાસ કરવાનું કૌભાંડ કરાવતા હતા.

14 વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગાયબ હતી
ગુજરાત યુનિવર્સિટીમાં નર્સિંગની પરીક્ષા ચાલી રહી હતી. ત્યારે 10 જુલાઈએ રાતે ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી નર્સિંગની 14 ઉત્તરવહી ગાયબ થઈ ગઈ હતી. આ અંગે NSUI દ્વારા 11 જુલાઈએ હોબાળો કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવતાં 14 વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગાયબ હતી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે 14 વિદ્યાર્થી અને બોટની વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓની પૂછપરછ કરી હતી.

એક પેપરદીઠ 50 હજાર રૂપિયા લેતા
પોલીસ-તપાસમાં સની ચૌધરી અને અમિતસિંહ નામના આરોપીની સમગ્ર મામલે સંડોવણી સામે આવી હતી. આરોપી પરિણામ આવે એ જ દિવસે નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા હતા. વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષામાં પાસ કરાવવા માટે સેટિંગ કરતા હતા. વિદ્યાર્થી પાસેથી એક પેપરદીઠ 50 હજાર રૂપિયા લેતા હતા. પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓને પેપર કોરું રાખવા કહેતા હતા અને પેપરમાં છેલ્લા પેજ પર નિશાની કરવાનું કહેતા હતા.

ફિઝિયોથેરાપીની 6 ઉત્તરવહી મળી આવી હતી
નિશાની કરેલા પેપર મોડી રાતે યુનિવર્સિટીના કર્મચારી પાસેથી મેળવી લેતા હતા. ત્યાર બાદ વિદ્યાર્થીઓને મોડી રાતે RTO સર્કલ પાસે સની ચૌધરી બોલાવતો હતો. સની વિદ્યાર્થીઓને આંખે પટ્ટી બાંધીને પેપર લખવા લઈ જતો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓના મોબાઈલ સ્વિચ ઓફ કરાવી દેવામાં આવતા હતા. આ સમગ્ર કાંડમાં બોટની વિભાગમાં કામ કરતો કર્મચારી સંજય ડામોર સંડોવાયેલો હતો, જેની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી હતી. સંજય ડામોરની ધરપકડ કરવામાં આવતાં ફિઝિયોથેરાપીની 6 ઉત્તરવહી મળી આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી
સમગ્ર મામલે મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિતસિંહની પણ સંડોવણી છે, પરંતુ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આરોપીઓને પકડવા પોલીસ અન્ય રાજ્યમાં પણ પહોંચી હતી, પરંતુ આરોપી ભાગતા રહેતા હતા, જેથી પોલીસ પકડી શકતી નહોતી. આરોપી અમદાવાદ આવ્યા હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચને જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે.


Spread the love

Related posts

ભાજપે નામની જીદ પડતી મૂકી!:અમદાવાદ શહેરનું નામ બદલીને જો કર્ણાવતી થાય તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજજો ગુમાવવો પડે : સાંસદ હસમુખ પટેલ

Team News Updates

Kheda:ગળતેશ્વરમાં ડૂબ્યા અમદાવાદના ચાર મિત્રો: એકનો જીવ બચાવાયો,ત્રણના મૃતદેહો સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા

Team News Updates

ગુજરાતમાં એન્જિ.ના પ્રવેશનો પહેલો રાઉન્ડ પૂર્ણ:વિદ્યાર્થીઓની બ્રાન્ચ પસંદગીને જોતા ભવિષ્યમાં સિવિલ અને મિકેનિકલ એન્જિનિયર્સને શોધવા જવા પડશે, કોમ્પ્યૂટર અને ITની ભરમાર

Team News Updates