News Updates
AHMEDABAD

 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે,સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

Spread the love

હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. સાથે જ 48 કલાકમાં રાજ્યમાં આકાશમાં વાદળ ઓછા થતાં તાપમાનનો પારો ઊંચકાશે. ગુજરાતમાં આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે, ઉપરાંત 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં ભેજયુક્ત ગરમ પવનો ફૂંકાવાથી બફારાનો અનુભવ થશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ પણ આજરોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને ડાંગમાં તથા સૌરાષ્ટ્રમાં બોટાદ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આ પ્રકારની આગાહી સામે ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે. ભારે પવન ફૂંકાવાને કારણે આંબા ઉપર તૈયાર થયેલી કેરી પણ ખરી પડે તેવી શક્યતા છે. જેથી ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તૈયાર થયેલો પાક ખુલ્લામાં પડી રહ્યો હોય તો તેને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે પણ સૂચના આપી છે.

અમદાવાદ શહેરમાં પણ ગત રાત્રિ દરમિયાન ઉકળાટનો અનુભવ થયા બાદ આજે દિવસ દરમિયાન પણ બફારો રહેશે. ગત 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 42.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પરંતુ દરરોજ જે સમય મહત્તમ તાપમાન નોંધાતું હોય છે તે સમયગાળા દરમિયાન એટલે કે સાંજના 4:30 વાગ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ મોડીરાત્રે વરસાદ આવતા ફરી એક વખત અમદાવાદીઓને બફારાનો અનુભવ થયો હતો.

આજરોજ પણ હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પરંતુ વાદળછાયા વાતાવરણને કારણે અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઓછી ઝડપે ગરમ ભેજયુક્ત પવનો ફૂંકાઈ શકે છે. જેને કારણે ઉકળાટ અનુભવાશે. ખાસ કરીને બપોરના 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી મહત્તમ તાપમાન રહેશે. આજરોજ સાંજના 4 વાગ્યાથી 6:00 વાગ્યા દરમિયાન મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધાઈ શકે છે.

એકસાથે સક્રિય થયેલી 3 સિસ્ટમને કારણે સોમવારે 4 વાગ્યા પછી અમદાવાદના વાતાવરણમાં પલટો આવવાનો શરૂ થયો હતો. સાંજે 5.30 વાગતામાં તો કલાકના 37થી માંડી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. તોફાની પવનને કારણે એ હદે ધૂળની ડમરી ઊડી હતી કે, વાહનચાલકો કશું જોઈ શકતા નહોતા. ટુ-વ્હીલર પર જતાં લોકો સૌથી વધુ હેરાન થયા હતા. પવનને કારણે ટુ-વ્હીલરનું બેલેન્સ પણ રહેતું નહોતું.

સાંજે 5.30થી 6.30ના એક જ કલાકના ગાળામાં વાતાવરણમાં એટલો તીવ્ર ફેરફાર આવ્યો હતો કે, ગરમી કલાકના આ સમયગાળા દરમિયાન 14 ડિગ્રી ઘટી ગઈ હતી. સાંજે 5.30ની આસપાસ 41થી 42 ડિગ્રી ગરમી હતી. પરંતુ સાંજે 6.30એ તે ઘટીને 28 ડિગ્રી થઈ ગઈ હતી. સામાન્યપણે આટલા ટૂંકા ગાળામાં હવામાનમાં આવા મોટા ફેરફાર જોવા મળતા હોતા નથી. શહેરના અનેક વિસ્તારમાં પાંચથી માંડી 15 મિનિટ સુધી જોરદાર વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. ભારે પવન ફૂંકાતાં સાબરમતી, વસ્ત્રાપુર, થલતેજ, ઉસ્માનપુરા, ગોતા વંદેમાતરમ રોડ, નરોડા, શાહપુર સહિત 11 સ્થળે ઝાડ તૂટી પડ્યાં હતાં. કેટલાંક સ્થળે ઝાડ નીચે વાહનો દબાઈ ગયાં હતાં.

આ 3 કારણથી હવામાન પલટાયું

  • ઉત્તર અરબી સમુદ્ર આસપાસ સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું
  • વાતાવરણમાં નીચલા સ્તરે પવનની અસ્થિરતા, ઉપલા સ્તરે ટ્રફ રચાયો
  • સૂકા, ગરમ અને ઝડપી ગતિના પવન સાથે ધૂળ ખેંચાઈ આવતાં ડમરી ઊડી

Spread the love

Related posts

9 લોકોના જીવ લેનારો તથ્ય પટેલ દિવાળી ક્યાં ઉજવશે તેનો આજે થશે ફેંસલો

Team News Updates

ફટાકડાના વેચાણ કે સંગ્રહ પહેલા જાણી લો ફાયર સેફ્ટીના આ નિયમો, નહીં તો થશે કાર્યાવહી

Team News Updates

પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવાનુ આયોજન કરી રહ્યા છો? અમદાવાદ એરપોર્ટથી આ સ્થળો માટે સીધી ફ્લાઈટ! જાણો

Team News Updates