કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે એટલે કે સોમવારે હૈદરાબાદની મુલાકાતે છે. અહીં તેઓ બેરોજગારીના મુદ્દે યુવા સંઘર્ષ સભા કરશે. આ સભાનું આયોજન સરૂરનગર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે, જેમાં પ્રિયંકા ગાંધી ‘હૈદરાબાદ યુથ મેનિફેસ્ટો’ પણ જાહેર કરશે. રાજ્યમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મેનિફેસ્ટો જાહેર કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે કોંગ્રેસ મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધીની તેલંગાણાની આ પ્રથમ મુલાકાત છે.
કોંગ્રેસના તેલંગાણા એકમના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદ મલ્લુ રવિએ સમાચાર એજન્સી પીટીઆઈને પ્રિયંકાની મુલાકાત અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી બપોરે 3.30 વાગ્યે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે. અહીંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા સરૂરનગર જશે. અહીં તેઓ કોંગ્રેસના નેતાઓને મળશે. રેલી બાદ પ્રિયંકા ગાંધી લગભગ 5 વાગે દિલ્હી જવા રવાના થશે.
મલ્લુ રવિએ કહ્યું કે તેલંગાણા સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન (TSPSC) દ્વારા આયોજિત ભરતી પરીક્ષાઓમાં પેપર લીક થયા બાદ યુવાનોમાં હતાશા છે. આવી સ્થિતિમાં પાર્ટીના યુવા મેનિફેસ્ટોમાં પાર્ટી યુવાનો અને વિદ્યાર્થીઓને રાજ્યમાં રોજગાર અને બેરોજગારી ભથ્થું આપવા જેવા વચનો આપશે.
રવિએ કહ્યું- અમને ખાતરી છે કે પ્રિયંકા ગાંધીની રેલી રાજ્યના લાખો બેરોજગાર યુવાનો અને વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવશે. આ સાથે તે યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને સમાજના તમામ વર્ગોને પ્રેરણા આપવામાં સફળ રહેશે.
કોંગ્રેસે TSPSC પેપર લીકની CBI તપાસની માંગ કરી છે
કોંગ્રેસના સાંસદ એ રેવન્ત રેડ્ડીએ પહેલાથી જ TSPSC પેપર લીક કેસમાં રાજ્યમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું છે. રેડ્ડીએ આરોપ લગાવ્યો કે પીએમ મોદી અને તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ દેશ અને તેલંગાણાના યુવાનોને નોકરી આપવામાં નિષ્ફળ રહ્યા છે. તેલંગાણા પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) TSPSC પેપર લીક કેસની તપાસ કરી રહી છે. સાથે જ કોંગ્રેસ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહી છે.
આ સિવાય રેવંત રેડ્ડીએ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ના સમાપન બાદ તેલંગાણામાં પદયાત્રા કરી હતી.જ્યારે, કોંગ્રેસ ધારાસભ્ય પક્ષ (CLP) નેતા મલ્લુ ભાટી વિક્રમાર્ક છેલ્લા 50 દિવસથી પદયાત્રા કરી રહ્યા છે.