News Updates
GUJARAT

3 વર્ષના કૃણાલની ચકચારી હત્યાનો પર્દાફાશ:માતા જ પુત્રના મૃતદેહને ખભે ઊંચકી ઘરે લઈ ગઈ, પતિને કહ્યું અકસ્માતમાં મરી ગયો; CCTVની એક નાની જલકે ખોલ્યો હત્યાનો ભેદ

Spread the love

હિંમતનગરમાં બે દિવસ પહેલાં એક અજાણ્યા વાહનની અડફેટે ત્રણ વર્ષના બાળકનું મોત થયું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ. પોલીસે પિતાની ફરિયાદ પરથી અકસ્માત સર્જીને ફરાર થનાર બાઈકચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં. પોલીસે ઘણા CCTV તપાસ્યા પરંતુ જે રોડ પર અકસ્માત થયાની વિગત મળી હતી. તે રોડ પર કોઈ વાહનચાલક દેખાયો નહીં, પરંતુ છેલ્લે એક CCTVમાં રીક્ષા દેખાઈ અને તે રીક્ષામાંથી જે બાળકના અકસ્માતની ફરિયાદ નોંધાઈ હતી. તે બાળક અને તેને ખભે લઈને રીક્ષામાં બેસતી તેની માતા નજરે પડતાં. સમગ્ર હકીકત સામે આવી…શું માતા એજ બાળકની હત્યા કરી?, શા માટે પોલીસમાં બાળકના અકસ્માતની ખોટી ફરિયાદ નોંધાવાઈ?, કોણ હતું બાળકના મોતનું કારણ?. આ દરેક સવાલો પરના પડદા હટતા ચોકવનારા જવાબો સામે આવ્યા તે ભલભલાના રુંવાડા ઉભા કરી દેશે….

પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ
હિંમતનગરમાં તારીખ 27/06/23ના રોજ શહેરના પોલોગ્રાઉન્ડમાં અલીફ મસ્જિદની પાછળના ભાગમાં વાલજીભાઈ નાથાભાઇ સલાટ રહે છે. જેમના બે નાનાં દીકરા કૃણાલ અને કાર્તિક વસ્તુ લેવા અલીફ મસ્જિદની પાસે દુકાન પર ગયા હતા. થોડીવાર પછી કાર્તિક દોડતો ઘરે આવ્યો અને કોઈ વાહનચાલકે કૃણાલને ટક્કર મારતાં રોડ પર પડ્યો હોવાનું જણાવ્યું હતું. માતા આ સમાચાર સાંભળી દોડતી બહાર ગઈ અને કૃણાલ (ઉ.વ.03)ને સારવાર અર્થે લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો. આ અકસ્માતની જાણ પત્નીએ તેના પતિ વાલજીભાઈને જણાવતા મૃતકના પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. વાલજીભાઈએ તાત્કાલિક પોતાના પુત્રનો અકસ્માત કરનાર આરોપીને સજા અપાવવા અને પોતાના પુત્રને ન્યાય અપાવા ફરિયાદ નોંધાવી. જેના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મહિલા બાળકને ખભે નાખી લઈ જતી જોવા મળી
તપાસ અધિકારી PSI ડી.સી.પરમાર અને વી.આર.ચૌહાણે સાથે ટોલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, મહિલાના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના બાળકને કોઈ બાઈકસવારે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. જેથી CCTV ફૂટેજ તપાસ કરતાં કોઈ ફૂલસ્પિડમાં વાહન જતું હોય અથવા કોઈ સંકાસ્પદ વાહન નજરે ન પડ્યું હતું, પરંતુ CCTVમાં જમનાબેન તેમના બાળકો સાથે દેખાયા હતા. જ્યાં એક બાળકને ખભે તેડ્યું હતું અને બીજુ બાળક જોડે ચાલતું હતું. જેથી અમને તેમના પર શંકા થઈ તેથી અમે સગા સંબંધી અને આજુબાજુ રહેતા પાડોશીઓની પૂછતાછ કરતાં એવું જાણવા મળ્યું કે, મહિલાના એક માણસ જોડે અનૈતિક સંબંધ છે અને અગાઉ પણ મહિલા તેની સાથે એકવાર પકડાઈ છે. જેથી જમનાબેનની પૂછપરછ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

પ્રેમિકા બાળકને હોસ્પિટલ લઈ જતી પણ ડોક્ટરને ન મળતી
તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, સવારે છોકરાના પિતા 7-8 વાગ્યે કામ અર્થે મજૂરીએ જાય એટલે પ્રેમી તેની પ્રેમિકાને ફોન કરે અને પ્રેમિકા પોતાના બાળકોને લઈ પ્રેમી એટલે કે ભરતે રાખેલા ભાડાના મકાનમાં જાય. જ્યારે સાંજે તેના પતિનો આવવાનો સમય થાય એટલે મહિલા પોતાના બાળકોને લઈને પાછી ઘરે પરત ફરી જતી હતી. પ્રેમી અને પ્રેમિકાએ આ નિત્યક્રમ બનાવી લીધો હતો. જે દરમિયાન આ વખતે કોઈકારણ સર પ્રેમિકાએ પ્રેમીને બાળકો લઈ જવા કહ્યું અને પોતે શાંતીથી આવશે તેવું જણાવ્યું. તે દિવસે પ્રેમિકાને પ્રેમી પાસે જવું ન હોવાથી બહાનું કાઢ્યું અને પ્રેમી આવવા માટે ફોર્સ કરતો હતો. તેમછતાં પ્રેમિકા પ્રેમી પાસે ન ગઈ જેનો ખાર રાખી પ્રેમીએ 3 વર્ષના નાના બાળક કૃણાલને પેટમાં લાત મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મહિલા મરેલા બાળકને લઈને સિવિલ અને ચાંદનીવાલા હોસ્પિટલમાં લઈ જાય છે. પરંતુ ત્યાં ડોક્ટરને મળતી નથી અને પાછી ફરી જાય છે.

ગડદાપાટુનો મૂઢમાર મારી બાળકની હત્યા કરી
માતાએ જ આ અક્સમાતનો ખોટો ઢોંગ રચી બાળકના અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી. આ મૃતકની માતાની પૂછપરછ દરમિયાન માતાએ કબૂલાત કરી હતી કે, તેને ભરત અમરતભાઈ સલાટ (ઉ.વ.30) સાથે પ્રેમસંબંધ હતો. ભરતે એક મકાન ભાડે રાખ્યું હતું. જ્યાં બંને જણા અવાર નવાર મળતા હતા. તે દરમિયાન ભરતે 27 તારીખના રોજ મહિલાને મળવા માટે બોલાવી હતી, પરંતુ મહિલાને કોઈ કારણસર મોડુ થઈ ગયું હતું. ત્યારે પ્રેમાંધ ભરતે બાળક રડતું હોવાથી ગુસ્સો આવતા 3 વર્ષીય કૃણાલને પેટમાં લાતો મારી રડતાં બાળકને હંમેશા માટે શાંત કરી દીધો હતો. 3 વર્ષીય બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજાવ્યા બાદ વાહનની ટકકરે અકસ્માતમાં મોત થયું હોવાનો ઢોંગ રચ્યા બાદ મૃતકની માતા એટલે પ્રેમિકાને પણ આ કરતૂતમાં સામેલ કરી લીધી હતી.

CCTVની એક જલકે સમગ્ર કેસને ખુલ્લો કરી દીધો
પ્રેમિકાને કોઈ કારણોસર મોડુ થઈ ગયું હતું. જેથી ભરત ગુસ્સે ભરાયો હતો. મહિલા જેમતેમ કરી પોતાનું કામ પતાવી ભરતે રાખેલા ભાડાના મકાનમાં પહોંચી ત્યાં સુધીમાં ભરતે બાળકને પેટમાં લાતો મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પ્રેમિકાએ પણ પોતાના સગા બાળકનું મોત નીપજાવનાર પ્રેમીને સજા અપાવવાની જગ્યાએ પ્રેમી સાથે મળી માતાનો ધર્મ નિભાવવાનું ભૂલી પતિ સહિત સૌ કોઈને ગુમરાહ કરવાનું ષડયંત્ર રચ્યું. પ્રેમીકાએ પતિ અને અન્ય લોકોને અલીફ મસ્જિદ આગળ વાહનની ટકકરે મોત નીપજ્યાનું જણાવી ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ CCTVની એક જલકે સમગ્ર કેસને ખુલ્લો કરી દીધો હતો. પોલીસે 24 કલાકમાં હત્યારાઓનો પર્દાફાશ કરી હત્યારા પ્રેમી અને બાળકની માતાની અટકાયત કરી હતી.

સમાજમાં બદનામીના ડરે પ્રેમીનો સાથ આપ્યો
પ્રેમિકાની આ મામલે પોલીસે પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, તેનું ભરત અમરતભાઈ સલાટ (ઉ.વ.30) સાથે પ્રેમસંબંધ હતો. જે પ્રેમ સંબંધ વિશે તેના પતિને જાણ ન હતી. સાથે આ કૃત્ય પ્રેમી દ્વારા કરવામાં આવતા પ્રેમિકાને ડર લાગ્યો હતો. જો આ ઘટના બહાર આવશે તો સમગ્ર સમાજમાં તેના પ્રેમ સંબંધનો ભાંડો ફૂટી જશે અને પોતે આ સમાજમાં બદનામ થઈ જશે. પતિ અને તેના સાસરિયાવાળા પણ તેને અપનાવશે નહીં. આ ડરના કારણે પ્રેમિકાએ પ્રેમીનો સાથ આપી ક્રૂરતા ભર્યું કૃત્ય રચ્યું હતું. એક કહેવત છે ને, કે છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય તેને ખોટી કરી બતાવી આ પ્રેમિકા માતા કમાવતર બની. ખોટી ફરિયાદ નોંધાવવા, પતિ અને પોલીસને ગુમરાહ કરવા અંતર્ગત બંને પ્રેમી અને પ્રેમિકા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી ગયો છે. આંતરિક ઇજાઓ થતાં બાળકનું મોત થયાનું પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું છે.


Spread the love

Related posts

કેમ બાંધવામાં આવે છે ? પૂજા કરતી વખતે કાંડા પર લાલ દોરો:મૌલીને ‘રક્ષાસૂત્ર’ કહેવામાં આવે છે

Team News Updates

EXCLUSIVE: JAYRAJSINH JADEJA દ્વારા કરાયેલ સંમેલન હોલ્ટ જમાવવાનું મિશન કે ફ્લોપ-શો??

Team News Updates

લો કરલો બાત!! GUJARATમાં આ જગ્યાએ હવે દારૂની છુટ..

Team News Updates