News Updates
BUSINESS

ચંદ્રયાન-3 હવે ચંદ્રથી માત્ર 30KM જ દૂર:લેન્ડરની ગતિ ધીમી થઈ; 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ માટે ફોલો કરવી પડશે આ પ્રક્રિયા

Spread the love

ISRO ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરને આજે એટલે કે 18 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે ડિબૂસ્ટિંગ દ્વારા થોડી નીચી ભ્રમણકક્ષામાં લાવશે. ડીબૂસ્ટિંગ એટલે અવકાશયાનની ગતિ ધીમી કરવી. આ પ્રક્રિયા 20 ઓગસ્ટે પણ થશે. આ પછી, ચંદ્રથી લેન્ડરનું લઘુત્તમ અંતર 30 કિમી રહેશે. સોફ્ટ લેન્ડિંગ 23 ઓગસ્ટે સાંજે 5:47 વાગ્યે સૌથી ઓછા અંતરથી થશે.

અગાઉ SROએ 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યૂલને બપોરે 1:15 વાગ્યે લેન્ડર અને રોવરથી અલગ કરી દીધું હતું. અલગ થયા પછી લેન્ડર મોડ્યૂલે પ્રોપલ્શન મોડ્યૂલને કહ્યું – ‘થેક્સ ફોર ધ રાઈડ મેટ’.હવે પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરવા માટે પ્રોપલ્શન મોડ્યૂલ ચંદ્રની ભ્રમણકક્ષામાં 3-6 મહિના સુધી રહેશે, જ્યારે લેન્ડર-રોવર 23 ઓગસ્ટે સાંજે 5:47 વાગ્યે ચંદ્રની સપાટી પર ઊતરશે. અહીં એ 14 દિવસ સુધી પાણીની શોધ સહિત અન્ય પ્રયોગો કરશે.

સોફ્ટ લેન્ડિંગ માટે ચંદ્રયાન-3ને 90 ડિગ્રી ફેરવવું પડશે
લેન્ડરને 30 કિમીની ઉંચાઈથી ચંદ્રની સપાટી પર ઉતારવાની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. પરિભ્રમણ કરતી વખતે તેને 90 ડિગ્રીના ખૂણા પર ચંદ્ર તરફ જવાનું શરૂ કરવું પડશે. લેન્ડિંગ પ્રક્રિયાની શરૂઆતમાં, ચંદ્રયાન-3ની ઝડપ લગભગ 1.68 કિમી પ્રતિ સેકન્ડ હશે. થ્રસ્ટર્સની મદદથી તેને નીચે ઉતારીને તેને સુરક્ષિત રીતે સપાટી પર ઉતારવામાં આવશે.

આ યાન 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું
22 દિવસની યાત્રા પછી ચંદ્રયાન 5 ઓગસ્ટના રોજ સાંજે 7.15 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું. પછી યાનને ચંદ્રની ગ્રેવિટીમાં કેપ્ચર કરી શકાય, જેથી એની ગતિ ઓછી થઈ હતી. સ્પીડ ઓછી કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ યાનનો ફેસ પલટાવીને 1835 સેકન્ડ, એટલે કે લગભગ અડધા કલાક સુધી થ્રસ્ટર્સને ફાયર કર્યું. આ ફાયરિંગ સાંજે 7.12 વાગ્યે શરૂ થયું હતું.

ચંદ્રયાને ચંદ્રની તસવીરો લીધી હતી
જ્યારે ચંદ્રયાન પ્રથમ વખત ચંદ્રની કક્ષામાં પ્રવેશ્યું ત્યારે એની ઓર્બિટ 164 કિમી x 18,074 કિમી હતી. ઓર્બિટમાં પ્રવેશ કરતી વખતે એના ઓનબોર્ડ કેમેરાએ ચંદ્રની તસવીરો પણ કેદ કરી હતી. ઈસરોએ એનો વીડિયો બનાવીને એની વેબસાઈટ પર શેર કર્યો છે. આ તસવીરોમાં ચંદ્રના ખાડા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

હું ચંદ્રયાન-3 છું… હું ચંદ્રનું ગુરુત્વાકર્ષણ અનુભવું છું
મિશન વિશે માહિતી આપતાં ISROએ X પોસ્ટમાં ચંદ્રયાન દ્વારા મોકલવામાં આવેલો સંદેશ લખ્યો હતો, ‘હું ચંદ્રયાન-3 છું… હું ચંદ્રનું ગુરુત્વાકર્ષણ અનુભવું છું.’ ઈસરોએ એમ પણ કહ્યું હતું કે ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. ચંદ્રયાનને 23 ઓગસ્ટે લેન્ડિંગ કરતાં પહેલાં કુલ 4 વખત એની ભ્રમણકક્ષા ઘટાડવી પડશે. તેમણે રવિવારે એકવાર ભ્રમણકક્ષા ઘટાડી છે.

જ્યારે ચંદ્રયાન ભ્રમણકક્ષામાં ચંદ્રની સૌથી નજીક હતું ત્યારે થ્રસ્ટર્સે ફાયરિંગ કર્યું હતું
ISROએ માહિતી આપી હતી કે પેરિલ્યુન ખાતે રેટ્રો-બર્નિંગ મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX), ISTRAC, બેંગલુરુમાંથી આદેશ આપવામાં આવ્યો હતો.

  • પેરિલ્યુન એ બિંદુ છે, જે ચંદ્રની ભ્રમણકક્ષામાં યાન ચંદ્રની સૌથી નજીક છે.
  • રેટ્રો-બર્નિંગ વાહનના થ્રસ્ટર્સ વિરુદ્ધ દિશામાં ફાયર કરે છે.
  • વાહનની ગતિ ધીમી કરવા માટે થ્રસ્ટર્સ વિરુદ્ધ દિશામાં ફાયર કરવામાં આવે છે.

આ મિશનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી શકાય છે:

1. પૃથ્વીથી તેની ભ્રમણકક્ષા સુધીનો પ્રવાસ

  • 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3ને 170 કિમી x 36,500 કિમીની ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
  • 15 જુલાઈના રોજ પ્રથમ વખત ભ્રમણકક્ષા વધારીને 41,762 કિમી x 173 કિમી કરવામાં આવી હતી.
  • 17 જુલાઈના રોજ ભ્રમણકક્ષા બીજી વખત વધારીને 41,603 કિમી x 226 કિમી કરવામાં આવી હતી.
  • 18 જુલાઈના રોજ ભ્રમણકક્ષા ત્રીજી વખત વધારીને 5,1400 કિમી x 228 કિમી કરવામાં આવી હતી.
  • 20 જુલાઈના રોજ ભ્રમણકક્ષા ચોથી વખત વધારીને 71,351 x 233 કિમી કરવામાં આવી હતી.
  • 25 જુલાઈના રોજ ભ્રમણકક્ષા પાંચમી વખત વધારીને 1.27,603 કિમી x 236 કિમી કરવામાં આવી હતી.

2. પૃથ્વીની ભ્રમણકક્ષાથી ચંદ્રની ભ્રમણકક્ષા સુધીની સફર

  • 31 જુલાઈ અને 1 ઓગસ્ટની રાત્રે, ચંદ્રયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર તરફ આગળ વધ્યું.
  • 5 ઓગસ્ટે ચંદ્રયાન-3 એ 164 કિમી x 18074 કિમીની ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો.

3. ચંદ્રની ભ્રમણકક્ષાથી ઉતરાણ સુધીની મુસાફરી

  • 6 ઓગસ્ટના રોજ, ચંદ્રયાનની ભ્રમણકક્ષા પ્રથમ વખત 170 કિમી x 4313 કિમી સુધી ઘટાડી દેવામાં આવી હતી.
  • 9 ઓગસ્ટના રોજ, ચંદ્રયાનની ભ્રમણકક્ષા બીજી વખત ઘટાડીને 174 કિમી x 1437 કિમી કરવામાં આવી હતી.
  • 14 ઓગસ્ટના રોજ, ચંદ્રયાનની ભ્રમણકક્ષા ત્રીજી વખત 150 કિમી x 177 કિમી સુધી ઘટાડી દેવામાં આવી હતી.
  • 16 ઓગસ્ટના રોજ, ચંદ્રયાન 153 કિમી X 163 કિમીની નજીક-ગોળાકાર ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું.
  • 17 ઓગસ્ટના રોજ, ચંદ્રયાન-3 ના પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડર-રોવરથી અલગ કરવામાં આવ્યું હતું.

હવે ચંદ્રયાન મિશન સંબંધિત 4 મહત્ત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો…

1. આ મિશનથી ભારતને શું ફાયદો થશે?
ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક મનીષ પુરોહિતનું કહેવું છે કે આ મિશન દ્વારા ભારત દુનિયાને જણાવવા માગે છે કે તેની પાસે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાની અને ત્યાં રોવર ચલાવવાની ક્ષમતા છે. આનાથી ભારત પર વિશ્વનો વિશ્વાસ વધશે, જે કોમર્શિયલ બિઝનેસ વધારવામાં મદદ કરશે. ભારતે તેના હેવી લિફ્ટ લોન્ચ વ્હીકલ LVM3-M4 થી ચંદ્રયાન લોન્ચ કર્યું છે. ભારત આ વ્હીકલ ક્ષમતા દુનિયાને બતાવી ચૂક્યું છે.

અગાઉ, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની કંપની ‘બ્લૂ ઓરિજિન’એ ISROના LVM3 રોકેટનો ઉપયોગ કરવામાં રસ દાખવ્યો હતો. બ્લૂ ઓરિજિન વ્યાપારી અને પ્રવાસન હેતુઓ માટે LVM3નો ઉપયોગ કરવા માગે છે. LVM3 દ્વારા, બ્લૂ ઓરિજિન તેના ક્રૂ કેપ્સ્યુલને આયોજિત લો અર્થ ઓર્બિટ (LEO) સ્પેસ સ્ટેશન પર લઈ જશે.

2. મિશન માત્ર દક્ષિણ ધ્રુવ પર જ કેમ મોકલવામાં આવ્યું?ચંદ્રના ધ્રુવીય પ્રદેશો અન્ય પ્રદેશો કરતાં તદ્દન અલગ છે. અહીં ઘણા ભાગો છે, જ્યાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો નથી અને તાપમાન -200 ડીગ્રી સેલ્સિયસ સુધી નીચે જાય છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે બરફના રૂપમાં હજુ પણ પાણી હાજર હોઈ શકે છે. ભારતના 2008ના ચંદ્રયાન-1 મિશને ચંદ્રની સપાટી પર પાણીની હાજરીનો સંકેત આપ્યો હતો.

આ મિશનની લેન્ડિંગ સાઇટ ચંદ્રયાન-2 જેવી જ છે. 70 ડીગ્રી અક્ષાંશ પર ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક. પરંતુ આ વખતે વિસ્તાર વધારવામાં આવ્યો છે. ચંદ્રયાન-2માં લેન્ડિંગ સાઇટ 500 મીટર X 500 મીટર હતી. હવે, લેન્ડિંગ સાઇટ 4 કિમી X 2.5 કિમી છે.

જો બધું બરાબર રહ્યું તો ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ-લેન્ડ કરનારું વિશ્વનું પ્રથમ અવકાશયાન બનશે. ચંદ્ર પર ઊતરવા માટેના અગાઉના તમામ અવકાશયાન વિષુવવૃત્તીય પ્રદેશમાં , ચંદ્ર વિષુવવૃત્તની ઉત્તર અથવા દક્ષિણમાં અક્ષાંશના થોડા ડીગ્રી ઊતર્યા છે.

3. આ વખતે લેન્ડરમાં 5ને બદલે 4 એન્જિન શા માટે?
આ વખતે લેન્ડરમાં ચાર એન્જિન (થ્રસ્ટર્સ) ચાર ખૂણામાં ફિટ કરવામાં આવ્યાં છે, પરંતુ છેલ્લી વખત વચ્ચેનું પાંચમું એન્જિન દૂર કરવામાં આવ્યું છે. ફાઈનલ લેન્ડિંગ માત્ર બે એન્જિનની મદદથી કરવામાં આવશે, જેથી ઈમર્જન્સીની સ્થિતિમાં બે એન્જિન કામ કરી શકે. ચંદ્રયાન 2 મિશનમાં છેલ્લી ક્ષણે પાંચમું એન્જિન ઉમેરવામાં આવ્યું હતું. એન્જિનને હટાવી દેવામાં આવ્યું છે, જેથી વધુ ઈંધણ સાથે લઈ જઈ શકાય.

4. માત્ર 14 દિવસનું મિશન શા માટે?
મનીષ પુરોહિતે જણાવ્યું હતું કે ચંદ્ર પર 14 દિવસ રાતે અને 14 દિવસ દિવસે પ્રકાશ રહે છે. જ્યારે અહીં રાત હોય છે ત્યારે તાપમાન -100 ડીગ્રી સેલ્સિયસથી નીચે જાય છે. ચંદ્રયાનનું લેન્ડર અને રોવર તેમની સોલર પેનલથી પાવર જનરેટ કરશે. એટલા માટે તેઓ 14 દિવસ માટે પાવર જનરેટ કરશે, પરંતુ વીજળી ઉત્પાદન પ્રક્રિયા રાત્રિના સમયે બંધ થઈ જશે. જો ત્યાં વીજ ઉત્પાદન ન હોય તો ઇલેક્ટ્રોનિક્સ સખત ઠંડીનો સામનો કરી શકશે નહીં અને નુકસાન થશે.

ભારત આમ કરનારો ચોથો દેશ બની જશે
જો સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળે છે, એટલે કે મિશન સફળ થાય છે તો અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આવું કરનારો ચોથો દેશ બની જશે. યુએસ અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઊતર્યા એ પહેલાં અનેક અવકાશયાન ક્રેશ થયાં હતાં. 2013માં ચાંગે-3 મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનારો ચીન એકમાત્ર દેશ છે.


Spread the love

Related posts

BUSINESS REPO RATE: RBIએ રેપો રેટ 6.5% યથાવત રાખ્યો,સતત સાતમી વખત કોઈ બદલાવ નહીં,EMIમાં કોઈ રાહત નહીં

Team News Updates

ભારતમાં ત્રણ પ્રકારની ગેમ પર પ્રતિબંધ મૂકાશે:સટ્ટાબાજી, હાનિકારક અને વ્યસનકારક રમતો પર સરકારની નજર, નિયમોની બ્લુ પ્રિન્ટ તૈયાર

Team News Updates

ગૌતમ અદાણીનું જોરદાર કમબેક.. ફરી એકવાર 100 બિલિયન ડૉલર ક્લબમાં થયા સામેલ, જાણો અમીરોની યાદીમાં ક્યાં?

Team News Updates