News Updates
RAJKOT

રંગીલો મિજાજ, ખાણી-પીણીનો શોખ, જલસાથી જીવતા માણસો આ છે સમૃદ્ધિની ચાવી, ગુજરાતમાં સૌથી સમૃદ્ધ જિલ્લો બન્યો સૌરાષ્ટ્રનું પાટનગર

Spread the love

શું તમારે પૈસાદાર બનવુ છે તો હવે તમે પણ રાજકોટીઅન્સની જેમ દરરોજ બપોરે 1થી 4 આરામ કરજો. તમને થતુ હશે કે આવું કેમ, તો તમને જાણીને આનંદ થશે કે ગુજરાત રાજ્યનો સૌથી સમૃદ્ધ જિલ્લો એટલે આપણું રંગીલુ રાજકોટ. રંગીલુ રાજકોટ પોતાના અલગ અલગ રંગ માટે ગુજરાત અને દુનિયાભરમાં જાણીતુ છે. પેંડા, રસગોલા, ગાંઠિયા, ચા, સોનાના ઘરેણાં, ઇમિટેશનના ઘરેણાં, બાંધણી, અલગ અલગ મશીન બનાવવાના કારખાના, GIDC આવા તો કઇંક અલગ અલગ રંગ છે આ રંગીલા રાજકોટના. પણ હવે આપણા રંગીલા રાજકોટને લાગ્યો છે સમૃદ્ધિનો રંગ. જી..હા આ અમે નથી કહી રહ્યા પણ આ તો નીતિ આયોગનો રિપોર્ટ કહે છે.

ગુજરાતનો સૌથી સમૃદ્ધ રાજકોટ જિલ્લો
નીતિ આયોગે નેશનલ મલ્ટીડાઇમેશનલ પોવર્ટી ઇન્ડેક્સ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં ગરીબીમાંથી બહાર નીકળવું, પોષણયુક્ત આહાર, શિક્ષા, આરોગ્ય, જીવનની ગુણવત્તા અને જીવનધોરણ સહિતના મુદ્દાઓને આવરી રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ રિપોર્ટના આધારે નક્કી થાય છે કે ક્યાં રાજ્યનો ક્યો જિલ્લો સમૃદ્ધ છે. ત્યારે ગુજરાત રાજ્યના સમૃદ્ધ જિલ્લાઓના લિસ્ટમાં રાજકોટ જિલ્લો પ્રથમ નંબરે આવે છે એટલે કહી શકાય કે રાજકોટ જિલ્લો ગુજરાતનો સૌથી સમૃદ્ધ જિલ્લો છે.

સૌરાષ્ટ્રની શાન રાજકોટ
આજી અને ન્યારી નદીના કિનારે વસેલુ શહેર રાજકોટ એક સમયે સૌરાષ્ટ્રની રાજધાની હતું. રાજકોટની સ્થાપના વર્ષ 1610માં ઠાકોરજી વિભાજીએ કરી હતી. 1720માં સોરઠ રેજિમેન્ટના ડેપ્યૂટી સુબેદાર માસુમખાને રાજકોટના રાજવીને હરાવ્યા અને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યું. જે બાદ 1732માં હારેલા રાજાના પુત્રએ પોતાના પિતાની હારનો બદલો લીધો અને ફરી શહેરને જીતી તેનું નામ રાજકોટ કર્યું. 1822માં બ્રિટિશ રાજ આવ્યું ત્યારે તેમણે એજન્સીની સ્થાપના કરી અને તેનું નામ કાઠિયાવાડ એજન્સી રાખ્યું. હાલમાં શહેરમાં જે કોઠી વિસ્તાર છે તે બ્રિટિશ રાજમાં વપરાતો હતો. 1925માં મહાત્મા ગાંધી પહેલી વાર રાજકોટમાં આવ્યા હતા. 1942ના ભારત છોડો ચળવળનો રાજકોટ મહત્વનો હિસ્સો હતું. જે બાદ રાજકોટે આર્થિક પ્રગતિમાં પણ મહત્વનો ફાળો આપ્યો.

રાજકોટનો જ્વેલરી ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત
ગુજરાતના વેપાર ઉદ્યોગમાં પણ રાજકોટનું મોખરાનું સ્થાન રહ્યું છે. રાજકોટના ઉદ્યોગોની વાત કરીએ તો, રાજકોટનો જ્વેલરી ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ચાંદીની સૌથી વધુ નિકાસ અહીંથી થાય છે. તો રાજકોટ સિલ્ક એમ્બ્રોઈડરીના કારોબાર માટે જાણીતુ છે અને ઓટોમોબાઈલ હબ તરીકે પણ ગણાય છે.

રંગીલો મિજાજ, ખાણી-પીણીનો શોખ, જલસાથી જીવતા રાજકોટીઅન્સ
રંગીલો મિજાજ, ખાણી પીણીનો શોખ અને જલસાથી જીવતા માણસો આ છે આપણા રાજકોટવાસીઓની ઓળખ. જન્માષ્ટમીના સમયે તો અહીં પાંચ દિવસ રજા હોય છે. જન્માષ્ટમી પર રાજકોટમાં થતો મેળો જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. તો ખાણી-પીણી માટે પણ રાજકોટ જાણીતુ છે. રાજકોટની એટલી બધી વાનગીઓ જાણીતી છે કે તમે એક જુઓને બીજીને ભૂલો. ચીક્કી, પેંડા, આઈસક્રીમ, લીલી ચટણી, બટાટાની વેફર, ઘુઘરા, ગોલા ખાવામાં રાજકોટવાસીઓ અવ્વલ છે. રાજકોટમાં ખાણી-પીણીની બજારો આખો દિવસ ધમધમતી હોય છે.

પોરબંદર, નવસારીએ સમૃદ્ધિમાં અમદાવાદ અને સુરતને પાછળ છોડ્યા
રાજકોટ તો સૌથી સમૃદ્ધ જિલ્લો છે. પણ સાથે જ બીજા નંબરે પોરબંદરે સ્થાન જમાવ્યું છે. તો નવસારી, સુરત અને અમદાવાદ અનુક્રમે સમૃદ્ધ જિલ્લાના ક્રમાંકમાં ત્રીજા, ચોથા અને પાંચમા નંબરે છે. સુરતની હીરાની ચમક અને રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદને પાછળ છોડી પોરબંદર અને નવસારી જિલ્લાએ સમૃદ્ધિમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે.

આદિવાસી જિલ્લામાં ઝડપથી જીવનધોરણ સુધરી રહ્યું છે
તો બીજી તરફ પછાત ગણાતા એવા આદિવાસી વિસ્તારમાં પણ બહુ ઝડપથી લોકોનું જીવનધોરણ સુધરી રહ્યું છે. આદિવાસી બહુલ એવા ડાંગ જિલ્લામાં સૌથી ઝડપથી જીવનધોરણ સુધરી રહ્યું છે. તો દાહોદ, નર્મદા, વલસાડ અને તાપી જિલ્લો પણ આ જ રીતે પ્રગતિના પંથે છે.


Spread the love

Related posts

સ્વામીના ગઢડાની નર્સિંગ છાત્રાનો રાજકોટમાં આપઘાત:ઘરની બારીનાં ઉપરના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું; આપઘાતનું કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો

Team News Updates

રાજકોટની APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7480 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Team News Updates

કેનેડામાં ચૌધરી પરિવારના મોત મામલે નવો વળાંક:મહેસાણાના ત્રણ શખસોએ 60 લાખ લઇ ટેક્સીથી અમેરિકા પહોંચાડવાની ખાતરી આપી હતી, પછી કેનેડાથી હોડીમાં બેસાડ્યા ને મોત મળ્યું

Team News Updates